વકીલો સામે ફોજદારી ગુન્હો દાખલ કરતા પહેલા પોલીસ ફરીયાદની તથ્યતા તપાસે તે જરૂરી : એડવોકેટ નિલેશ જોષી સામે પાસા હેઠળ કાર્યવાહી નહિ કરવા રાજકોટ બાર એસોસીએશનની માંગણી
રાજકોટઃ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ લલીતસિંહ શાહીની આગેવાની હેઠળ એડવોકેટ નિલેષ જોષીની તરફેણમાં આજે જોઇન્ટ પોલીસ કમિશ્નર સૌરભ તોલંબીયાને રજુઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નિલેષ જોષી સામે મનીલેન્ડ એકટ, એટ્રોસીટી અને ૩૮૬ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નિલેષ જોષીએ તેની સામે ફરીયાદ નોંધાવનાર સામે નેગોશીએબલ એકટ હેઠળ કાર્યવાહી કરી હતી અને કોર્ટે નોનબેઇલેબલ વોરન્ટ પણ ઇસ્યુ કર્યુ હતું. આવા સંજોગોમાં ફરીયાદની તથ્યતા ચકાસ્યા પછી પગલા લેવાય તો તે ન્યાયીક ગણાશે તેવી રજુઆત લલીતસિંહ શાહી દ્વારા કરવામાં આવી હતી. સાથોસાથ પોલીસ કમિશ્નરે લોકદરબાર દરમિયાન મનીલેન્ડ એકટ હેઠળ નોંધાયેલી ફરીયાદના આરોપીઓ સામે પાસા હેઠળ પગલા લેવા જાહેરાત કરી હતી. તો તેવા પગલા આ કેસમાં ન લેવાય તે માટે માંગણી કરવામાં આવી હતી. રજુઆતમાં બાર એસોસીએશનના સેક્રેટરી દિલીપભાઇ જોષી, કિશોરભાઇ સખીયા, કારોબારી સભ્ય જીજ્ઞેશભાઇ જોષી, જી.આર.ઠાકર, જયદેવભાઇ શુકલ, પિયુષભાઇ શાહ, અશોકસિંહ વાઘેલા, કુલદીપસિંહ જાડેજા, શિવરાજસિંહ ઝાલા, રૂપરાજસિંહ પરમાર, ગૌતમ દવે, પ્રશાંત બારોટ, નિશાન જોષી, હસમુખભાઇ સોલંકી, રમેશભાઇ ઘોડાસરા, ઉજ્જવલભાઇ રાવલ, વનરાજ ગોહીલ, યુવરાજસિંહ જાડેજા, ભુતપુર્વ પ્રમુખ અર્જુનભાઇ પટેલ, પી.સી.વ્યાસ સહીતના સંખ્યાબંધ સિનીયર-જુનીયર એડવોકેટસ જોડાયા હતા.