રાજકોટ
News of Saturday, 20th February 2021

ભાજપને મત આપી વિકાસને સમર્થન કરોઃ વિજયભાઇ રૂપાણી

હોસ્પિટલમાંથી મુખ્યમંત્રી કહે છે કે, સૌરાષ્ટ્રને એઇમ્સ-ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યાઃ સર્વત્ર વિકાસના આયોજનોઃ આવતી કાલે કમળને મત આપી વિકાસની યાત્રાને ગતિ આપો : વિજયભાઇ

રાજકોટ તા. ર૦ : કોરોના સંક્રમણની સારવાર લઇ રહેલા મુંખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે આવતીકાલે મહાનગર-પાલિકાની ચુંટણીમાં ભાજપને મત આપી વિકાસને સમર્થન કરો.

કોંગ્રેસે ભૂતકાળમાં સત્ત્।ાની લાલચમાં સામાજીક સૌહાર્દનું વાતાવરણ પૂર્ણઃ ડહોળી નાખ્યું હતું. જ્ઞાતિ-જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવીને સત્ત્।ા મેળવવા તેમણે સમાજને એવડું મોટું નુકસાન પહોંચાડ્યું કે, તેને કારણે ગુજરાતનો વિકાસ રૃંધાઈ ગયો, રાજયની પ્રતિષ્ઠા તેને લીધે ખરડાઈ. ભાજપે આ સ્થિતિમાંથી ગુજરાતને ઉગાર્યું. અમે સાર્વત્રિક લાંબા ગાળાનું આયોજન કરીને બધાં માટે સમાન તકો સર્જવા યજ્ઞ આરંભ કર્યો. માત્ર આજને નહીં, દસ-વીસ-ત્રીસ વર્ષ પછીનાં સમયને ધ્યાનમાં રાખી અદ્દભુત આયોજનો કર્યા. દરિયાનાં ખારા પાણીને મીઠું બનાવતા ડિસેલિનેશન પ્લાન્ટ, કિસાન સૂર્યોદય યોજના, સુજલામ-સુફલામ વગેરે યોજનાઓ દુરંદેશી અને દીર્ઘદ્રષ્ટિનાં ઉદાહરણો છે. આવનારાં દિવસોમાં આ બધી યોજનાઓનું મૂલ્ય એટલું હશે કે, તેની આંકણી પણ નહીં થઈ શકે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં દરેક વર્ગને લાગી રહ્યું છે કે, આ સરકાર મારી છે! રાજકોટ અને સૌરાષ્ટ્રનાં લોકોના સ્વપ્નો ઘણાં દાયકાઓ પછી સાકાર થઈ રહ્યાં છે. લોકોને લાગે છે કે, ઘણાં વર્ષો પછી સૌરાષ્ટ્રનો વારો આવ્યો! સૌની યોજના થકી આપણે સૌરાષ્ટ્રનાં ગામે-ગામ જળ પહોંચાડ્યા છે. એક સમયે જે જળાશયોમાં વર્ષનાં છ મહિના બાળકો ક્રિકેટ રમતાં, એ ડેમોમાં આજે ઉનાળે પણ અખૂટ જળભંડાર ભર્યા છે. આખા સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેવી એઈમ્સ આવી રહી છે. એઈમ્સનાં આગમનને કારણે વિશ્રકક્ષાની સારવાર સુવિધા સાવ નજીવા દરે મળી શકશે. સૌરાષ્ટ્ર માટે રાજકોટમાં ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ આવી રહ્યું છે. હવે સૌરાષ્ટ્રનાં એન.આર.આઈ.ને કે સૌરાષ્ટ્રથી વિદેશ અવરજવર કરતા લોકોને ઠેઠ અમદાવાદ સુધી લાંબું નહીં થવું પડે.

પાંચ વર્ષમાં રાજકોટ કદાચ ત્રીસ વર્ષ આગળ નીકળી ગયું છે. લાલપરી તળાવ બંધાયાનાં સવાસો વર્ષ પછી શહેરને વધુ એક તળાવ- અટલ સરોવર મળ્યું છે, નવું રેસકોર્સ બની રહ્યું છે. આવા અનેક કાર્યો થયા છે - થઈ રહ્યાં છે. આવનારા બે-પાંચ વર્ષોમાં ઢંઢેરાની યોજનાઓ સાકાર થશે ત્યારે રાજકોટની શકલ બદલાઈ ગઈ હશે.

 રાજકોટે દાયકાઓથી ભાજપની વિકાસલક્ષી રાજનીતિ સ્વીકારી છે. રાજકોટ-ભાજપ અને વિકાસ એ ત્રણેય એકમેકનાં પર્યાય બન્યાં છે. આવતીકાલે આપ ભાજપને જ મત આપી વિકાસની રાજનીતિને સમર્થન આપશો, તેવી શ્રદ્ઘા છે. તેમ મુખ્યમંત્રીએ અંતમાં કહ્યું હતું.

અંજલીબેન - બીનાબેન

મહાનગરપાલીકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણી અને પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્યએ મહિલા મતદારો જોગ અપીલ કરી ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવા અનુરોધ કર્યો છે.

શ્રીમતી અંજલીબેન રૂપાણી અને પ્રદેશ મંત્રી શ્રીમતી બિનાબેન આચાર્યએ એક નિવેદનમાં કહ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દાયકાઓના ભાજપના શાસનમાં મહિલાઓ માટે જે સુવિધાઓ આપવામાં આવી છે તે અકલ્પનિય છે.

ગોવિંદભાઇ-અરવિંદભાઇ-લાખાભાઇ

મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનં છે ત્યારે ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ અરવિંદભાઇ રૈયાણી અને લાખાભાઇ સાગઠીયાએ પ્રજા જોગ અપીલ કરી ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવા અનુરોધ કર્યો છે.

આ ધારાસભ્યોએ કહ્યુ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દાયકાઓના ભાજપના શાસનમાં રાજકોટમાં જે વિકાસ કાર્યો થયાં છે તે શાસકોની કુનેહ અને વિઝનને આભારી છે. આવનારા સમયમાં પણ ભાજપ રાજકોટ શહેરને વિકાસની ટોચે લઇ જવા માગે છે અને તેથી ભાજપના હાથ મજબુત કરવા માટે કમળને મત જરૂરી છે.

મોહનભાઇ કુંડારિયા

આવતીકાલે મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાએ ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવા મતદાતાઓને અનુરોધ કર્યો છે.

ભાજપના દાયકાઓના શાસનમાં રાજકોટમાં જે વિકાસ કાર્યો થયાં છે તે શાસકોની કુનેહ અને વિઝનને આભારી છે. આવા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા ભાજપના ઉમેદવારો જ મતદારોની પહેલી પસંદ છે તે નિશ્ચિત બન્યું છે.

રાજુ ધ્રુવ

અત્યારે આપણે લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આગામી પાંચ વર્ષ માટે આપણને આપણા પ્રતિનિધિને ચૂંટવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઇ છે અને આ તકને આપણે ચૂકવી જોઇએ નહીં તેમ જણાવી ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ શહેરના મતદારોને ભાજપની તરફેણમાં જંગી મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવવા અપીલ કરી છે.

કેન્દ્રમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમ જ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાહબરી હેઠળ ઘણી જ પ્રગતિ થઇ છે. ગુજરાત રાજ્ય એક નમૂનેદાર રાજ્ય બન્યુ છે અને તેની વિશ્વ કક્ષાએ નોંધ લેવાઇ છે. ભાજપને મત આપી વિકાસયાત્રા આગળ ધપાવો.

કોટક -કાનગડ -શુકલ

આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે ત્યારે ભાજપનાં અગ્રણીઓ જનકભાઇ કોટક ઉદયભાઇ કાનગડ, ડો.જયમીનભાઇ ઉપાધ્યાય, કશ્યપભાઇ શુકલએ આવતીકાલે રવિવારે સવારે સૌથી પહેલુ કામ રાજકોટનાં મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે.

સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કે, ભાજપનાં શાસનમાં રાજકોટનો ખરા અર્થમાં વિકાસ થયો છે. રાજકોટ -સૌરાષ્ટ્રને એઇમ્સ, એરપોર્ટ રાજકોટ -દિલ્હી વિમાની સેવા,દુરંતો એકસપ્રેસ, સુરેન્દ્રનગર -રાજકોટ બ્રોડગેજ, મોરબીમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર, રાજકોટ -અમદાવાદ સિકસલેન, રાજકોટ -મોરબી ફોરલેન જેવી અનેક સુવિધા અપાવવામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નૃતત્વવાળી ભાજપ સરકારે સુંદર -સરહકારી ભૂમિકા ભજવી છે. ભાજપને મત આપી વિકાસ આગળ ધપાવો.

(3:43 pm IST)