સરકારી નિર્ણયોનો અમલ કે પ્રભાવ દેખાતો નથીઃ કોંગ્રેસ
ગુજરાતમાં કોરોના સ્થિતી કાબુ બહાર જોવા મળી રહી છેઃ સરકાર વહેલી તકે જાગેઃ ગાયત્રીબા વાઘેલા અને મનસુખભાઇ કાલરીયાનો આક્રોશ
રાજકોટ તા. ર૦ :.. કોરોના સંક્રમીતોનો આંક રોકેટ ગતિએ વધી રહ્યો છે. નિર્દોષ દર્દીઓના મોત થઇ રહ્યા છે. દર્દીઓના સગા-સબંધીઓ રાત-દિવસ લાઇનોમાં ઉભા રહે છે ત્યારે દિશા વિહીન રાજય સરકાર જોઇશુ, કરશું, નિર્ણય લેવાઇ ગયા છે, ના ગાણા ગઇ રહી છે. નકકર આયોજન અને ત્વરીત અમલ ખુબ જરૂરી હોવાનું પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, અને મનસુખ કાલરીયાએ પૂર્વ કોર્પોરેટરે માંગ કરી છે.
આ અંગે ગાયત્રીબા અને મનસુખભાઇ કાલરીયાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિતોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે., જયાં જુઓ ત્યાં દર્દીઓના સગાઓને બેડ માટે ઇન્જેકશન માટે, ઓકિસજનના બાટલા માટે અને પોતાના સ્વજનના મૃતદેહ માટે પણ દિવસ-રાત લાઇનો ઉભા રહેવુ પડે છે.
નિષ્ફળ રહેલી રાજય સરકાર અઠવાડીયામાં ૧ર૦૦ બેડની વ્યવસ્થા થઇ જશે. બે દિવસમાં ઓકિસજનના બાટલા પહોંચતા થઇ જશે, ઇન્જેકશનો માટે વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે, જેવા નિવેદનો ઉપર જ ચાલતી હોય તેવો આક્ષેપ કયો હતો.
મોત સામે ઝઝૂમી રહેલ દર્દીઓ માટે ઘટતી, જરૂરી વ્યવસ્થા કલાકોમાં થવી જોઇએ એ વ્યવસ્થા માટે દિવસો, અઠવાડીયા લાગે તે કઇ રીતે ચાલી શકે ?
સરકાર કોરોના દર્દીઓ માટે બેડ કે વેન્ટિલેટર વધારવાની માત્ર વાતો જ કરે છે. પરંતુ તે માટે જરૂરી એકસપર્ટ, મેડીકલ-પેરા મેડીકલ, સ્ટાફ અંગે શું આયોજન છે ? તેની તો વાત જ નથી કરતા તેવા સવાલો ગાયત્રીબા અને મનસુખભાઇએ ઉઠાવ્યા હતાં.
આ તમામ મુદ્ે રાજય સરકાર સંપૂર્ણ દિશાવિહિન અને નિષ્ક્રીય જોવા મળે છે. જેના લીધે રાજકોટ સહિત ગુજરાતમાં કોરોનાની સ્થિતી કાબુ બહાર જતી જોવા મળી રહી છે. સરકાર વહેલી તકે જાગે અને જરૂરી નિર્ણયો તાત્કાલીક લઇ ત્વરીત અમલવારી કરાવે તે જરૂરી છે તેવી માંગ ગાયત્રીબા અને મનસુખભાઇએ કરી હતી.