રાજકોટ
News of Tuesday, 20th April 2021

રાજકોટમાં આજ સુધીમાં કુલ ર.૬૬ લાખ વેકસીન ડોઝ અપાયાઃ ૮.૭પ લાખ ટેસ્ટીંગ

કોરોનાને નાથવા સતત મથતા મેયર પ્રદીપ ડવ-સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલઃ ટેસ્ટીંગ બુથ-વેકસીનેશન-હોસ્પીટલમાં બેડ વધારવા-સ્મશાનોની વ્યવસ્થાઃ ટેસ્ટીંગ બુથ પર છાયડો-પાણીની વ્યવસ્થાઃ તમામ મોરચે વ્યવસ્થા સંભાળી રહ્યા છે

રાજકોટ,તા. ૨૦: કોરોનાની બીજી લહેર ઘાતક અને ઝડપી સંક્રમિત થઇ રહી છે ત્યારે મેયર તરીકે ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કરભાઇ પટેલની વરણીની સાથે જ કોરોના સામેની લડાઈમાં સતત કાર્યરત અને ચિંતિત રહેલ છે.

જુદી જુદી સંસ્થાઓના હોદેદારો સાથેની મીટીંગ કરી સંસ્થાઓના માધ્યમથી વેકિસન કેમ્પો કોરોના સંક્રમણ વધતા જુદી જુદી હોસ્પિટલોના ડોકટરો સાથે પરામર્શ કરી કોવીડ હોસ્પિટલ શરૂ થાય ઉપરાંત ઘણા શહેરીજનો સંક્રમિત થયા બાદ હોમ આઈસોલેશનની વ્યવસ્થા ન હોય, ઘરમાં વૃધ્ધ માં-બાપ હોય, અને ઘણી મુશ્કેલીઓ ઉભી થતી હોય ત્યારે હોમ આઈસોલેશન દર્દીઓને મદદરૂપ થવા જુદા જુદા સમાજના સંસ્થા/મંડળો સાથે મીટીંગ કરી જેઓ પાસે છાત્રાલયો, વાડી છે, તે સમાજને કોવીડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવા વિનંતી સાથે ચર્ચા કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ. જેના અનુસંધાને શ્રી સોરઠીયા પ્રજાપતિ મંડળ દ્વારા ટૂંક સમયમાં કોવીડ આઈસોલેશન સેન્ટર કરવા જઈ રહ્યા છે. આ સેન્ટરમાં ડોકટર, નર્સિંગ સ્ટાફ, દર્દીઓને દવા, ચા-નાસ્તો, જમવાની સુવિધા ઉપલબ્ધ થશે. તથા રાજગોર બ્રહ્મસમાજ દ્વારા કોવીડ આઈસોલેશન શરૂ કરી દીધેલ છે. તેમજ અન્ય સમાજ તથા સંસ્થા સાથે પરામર્શ ચાલી રહેલ છે.

શહેરમાં જરૂરિયાતમંદને ઓકિસજન, ઇન્જેકશન વિગેરે માટે સતત પ્રયત્નશીલ રહેલ છે. ઉપરાંત શહેરમાં જુદી જુદી જગ્યાએ ટેસ્ટીંગ બુથ શરૂ કરાવેલ અને આ બુથ પર ટેસ્ટીંગ કરવા આવેલ લોકો માટે બેસવા માટે ખુરશી, મંડપ, પાણી વિગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ. વિશેષમાં, કોરોનાનાં કારણે અવસાન પામેલ દર્દીઓના પરિવારની વેદના ધ્યાનમાં રાખી દર્દીના અંતિમ સંસ્કાર માટે કાર્યવાહી ઝડપી બને તે માટે સ્મશાનનાં સંચાલકો સાથે મીટીંગ કરી સંચાલકો જે કઈ પ્રશ્ન હોય તેનો નિકાલ કરી તેમજ કોર્પોરેશન બધી રીતે મદદરૂપ થશે તેવા અભિગમથી સંચાલકોને જણાવેલ કે આ મહામારીમાં આપણે સૌ જવાબદારી નિભાવી રહ્યા છીએ. તેમાં પણ વધુ ગતિ લાવવા રાત-દિવસ જોયા વગર કાર્યરત રહીએ તેવી બંને પદાધિકારીશ્રીએ અપીલ કરેલ. ઉપરાંત સ્મશાનની રૂબરૂ મુલાકાત લઇ પ્રશ્નોનો નિકાલ કરેલ છે.

કોરોના સંક્ર્મિતની ઝડપી ગતિ હોય જેને અટકાવવા શહેરના ચા-પાનના વ્યવસાય કરતા એસોસીએશનનાં પ્રમુખ સાથે વાત કરી પાનાના ગલ્લા પર લોકો ટોળે ન વળે અને પાર્સલ જ આપવા જણાવેલ.

વેકિસન રસીકરણના અનુસંધાને અત્યાર સુધીમાં ૬૦ વર્ષથી ઉપરના પ્રથમ ડોઝ ૯૨,૩૩૪ તથા ૪૫ થી ૫૯ વર્ષના પ્રથમ ડોઝ ૯૧,૫૬૧ અને ૬૦ વર્ષથી ઉપરના બીજો ડોઝ ૧૭,૫૬૧ તથા ૪૫ થી ૫૯ વર્ષના ૪૫૧૯ ડોઝ મળી કુલ ૨૬૬,૧૩૦ લોકોને રસીકરણ કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત કોવીડ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૮,૭૫,૧૩૮ ટેસ્ટીંગ કરાયેલ છે. જેમાં ૭,૫૩,૦૩૬ એન્ટીજન ટેસ્ટ કરાયેલ છે જયારે ૧,૧૮,૧૦૨ આર.ટી.પી.સી.આર. કરવામાં આવેલ. ગઈકાલ તા.૧૯/૦૪/૨૦૨૧નાં રોજ કુલ ૧૨૧૮૫ ટેસ્ટ કરવામાં આવેલ. એન્ટીજન ટેસ્ટ ૧૦,૬૩૭ આર.ટી.પી.સી.આર. ૧૫૪૮ કરવામાં આવેલ. હજુ પણ રોજેરોજ ધનવંતરી રથ/સંજીવની રથ, આરોગ્ય કેન્દ્ર, ટેસ્ટીંગ બુથ વિગેરે જગ્યાએ ટેસ્ટીંગની કામગીરી ચાલી રહી છે.

હાલમાં, રામનાથપરા, બાપુનગર, મોટામવા, મવડી, સ્મશાન ખાતે કોવીડ બોડીનાં અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરવામાં આવેલ. સામાન્ય બોડીના અંતિમ સંસ્કાર માટે રૈયાગામ, પોપટપરા કૈલાશધામ, નવા થોરાળા મુકિતધામ, રૂખડીયા સ્મશાનગૃહ, વાવડી સ્મશાનગૃહ, કોઠારીયા સ્મશાનગૃહ, સિંધી સમાજ, રામનગર ગામ, નવાગામ, કણકોટ ગામ, માધાપર ગામ, જય જવાન જય કિસાન, બેડી ગામ (કોવીડ બોડીને પણ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.) સ્મશાનગૃહ કાર્યરત છે. વિશેષમાં, બાપુનગર-૫, મવડી-૨, મોટામવા-૧ સ્મશાનગૃહમાં ખાટલાની સંખ્યા વધારવામાં આવેલ છે. હજુ વિશેષ ખાટલાનો વધારો થાય તે માટે પ્રયત્ન ચાલુ છે. કોરોના મહામારીમાં લોકોને વધુ માં વધુ મદદરૂપ થવા પ્રયત્ન કરી રહેલ છે. તેમજ કચેરીના રજાના દિવસોમાં પણ ઓફિસમાં હાજર રહી કોરોનાની કામગીરી માટે જુદા જુદા પ્રશ્નોનો નિરાકરણ માટે લાગણીસભર કામગીરી કરી રહેલ છે.

હાલની કોરોના મહામારી ઘાતક હોય શહેરીજનોએ કામ વિના બહાર ન નીકળવું અને માસ્ક સતત પહેરી રાખવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, સેનેટાઇઝ કરતુ રહેવું, ભીડભાડવાળી જગ્યાએ ન જવું તેવી અંતમાં અપીલ કરેલ.

(4:20 pm IST)