સણોસરાની ખેતીની જમીન અંગે વચગાળાનો સ્ટે. ફરમાવતી કોર્ટ
રાજકોટ,તા. ૨૦: સણોસરાના રેવન્યુ સર્વે નં. ૭૭/ર પૈકી ૨ ની એ. ૦૪-૧૩ ગુંઠા ખેતીની જમીન દાવાના નિકાલ સુધી અન્ય કોઈને તબદીલ ન કરવા અંગેનો હુકમ અદાલત કર્યો હતો.
કેસની હકીકતે, રાજકોટ તાલુકાના મોજે ગામ સણોસરાના રેવન્યુ સવે નં. ૭૭/ર પૈકી રની એ. ૦૪-૧૩ ગુંઠા જમીન કમલેશભાઈ ઉર્ફ પ્રવિણભાઈ મોહનભાઈની માલીકીની ખેતીની જમીન તેઓએ રાજકોટના રહીશ નરેન્દ્રભાઈ કેશુભાઈ મેઘાણીને વેચાણ આપવાનું નકકી કરતા નરેન્દ્રભાઈ કેશુભાઈ મેઘાણી જોગ રાજકોટની સબ-રજીસ્ટ્રાર કચેરીમાં સુથીની અવેજ સ્વીકારી રજી. સાટાખતનો કરાર કરી આપેલ ત્યારબાદ નરેન્દ્દભાઈ મેઘાણી દ્વારા વારંવાર વિનંતીઓ કરવા છતા કમલેશભાઈ ઉર્ફ પ્રવિણભાઈ મોહનભાઈ તેઓને મિલ્કતનો વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હોય જેથી નરેન્દ્રભાઈ મેઘાણીએ રાજકોટના અદાલત સમક્ષ તેમની જોગ કરેલ કરારનું વિશિષ્ટ પાલન કરવા માટે દાવો દાખલ કરેલ.
આ અંગે નરેન્દ્રભાઈ મેઘાણી દ્રારા દાખલ કરવામાં આવેલ દાવો ચાલી જતા નરેન્દ્રભાઇ મેઘાણીના એડવોકેટની દલીલો કરતા તથા વડી અદાલતો અધતન ચુકાદાઓ ધ્યાને લેતા રાજકોટના એડી. સી.સી. જજ શ્રી એસ. એમ. ક્રીસ્ટીએ સણોસરાના રેવન્યુ સર્વે નં. ૭૭/ર પૈકી ર ની ખેતીની જમીન દાવાના આખરી નિકાલ સુધી જમીન માલીક કમલેશભાઈ ઉર્ફ પ્રવિણભાઈ મોહનભાઈ દાવાવાળી મિલ્કત અન્ય કોઈ વ્યકિત આસામીઓને તબદીલ કરે-કરાવે નહી તે અંગે વચગાળાનો કામ ચલાઉ મનાઈ હુકમ ફરમાવેલ આ કામે નરેન્દ્રભાઈ મેઘાણી વતી એડવોકેટ તરીકે સાગર એસ. હપાણી, હિત આર. અવલાણી, હિમાલય એન. મીઠાણી, અંકિત કે. જાવીયા, હાર્દિક બી. શિંગાળા રોકાયેલ હતા.