કોરોના કાળમાં મ.ન.પા.એ ઉઘરાણીનો ધોકો પછાડ્યો : ૧.૯૬ લાખ મિલ્કત ધારકોને નોટીસો
ર૬૦ કરોડની વેરા આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા કવાયત
રાજકોટ, તા. ર૧ : કોરોના કાળ ચાલી રહ્યો છે. લોકડાઉન સહિતની સમસ્યાને કારણે મ.ન.પા.થી વેરા શાખાને પણ આવકમાં ગાબડુ પડયું છે ત્યારે હવે વેરા શાખાએ રૂ. પ૦૦૦ થી વધુનો વેરો બાકી હોય તેવા ૧.૯૬ લાખ લોકોને નોટીસો ફટકારી વેરાની ઉઘરાણી શરૂ કરી છે.
આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ આ વર્ષ રૂ. ર૬૦ કરોડની વેરા આવકનો લક્ષ્યાંક બજેટમાં મુકવામાં આવ્યો છે. તેની સામે આજ સુધીમાં ૧૪ર કરોડની આવક થઇ છે. ત્યારે હવે લક્ષ્યાંકમાં ૧ર૦ કરોડનું ગાબડુ પુરવા વેરા વિભાગે રૂ. પ૦૦૦ થી વધુ નો વેરો બાકી હોય તેવા ૧.૯૬ મિલ્કત ધારકોનું હીટ લીસ્ટ તૈયારી કરી તમામને પોસ્ટ મારફત ડીમાન્ડ નોટીસ આપવાનો પ્રારંભ થયો છે.
નોંધનીય છે કે કોરોના કાળમાં લોકડાઉન સહિતનાં પરિબળોને કારણે તંત્રએ હજુ સુધી હરરાજી, મિલ્કત સીલ વગેરે કડક કાર્યવાહી શરૂ નથી કરી ત્યારે હવે આગામી ફેબ્રુઆરી-માર્ચમાં આ ઝુંબેશ શરૂ કરી શકશે કે કેમ ? તે જોવાનું રહ્યું.