શુક્રવારની પરોઢે આકાશમાં મીટ માંડશો તો નવ ગ્રહો એક લાઇનમાં જોવા મળશે
વિજ્ઞાન જાથા દ્વારા નિદર્શન કાર્યક્રમો : અમુક ગ્રહો નરી આંખે તો અમુક ટેલીસ્કોપની મદદથી નિહાળી શકાશે
રાજકોટ તા. ૨૧ : આગામી તા. ૨૪ ના શુક્રવારે આકાશમાં વહેલી સવારે ૯ ગ્રહોની વિરલ ખગોળીય ઘટના નિહાળવા મળશે તેમ ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ એક યાદીમાં જણાવેલ છે.
તેઓએ જણવ્યુ છે કે શુક્રવારે સવારે ૫.૩૦ કલાકે આકાશમાં નવ ગ્રહોની પરેડ જોવા મળશે. જેમાના અમુક ગ્રહો નરી આંખે જોવા મળશે. તેમજ અમુક ગ્રહો ટેલીસ્કોપ કે દુરબીનની મદદથી નિહાળી શકાશે. જાથા દ્વારા રાજયભરમાં ગ્રહ નિદર્શનના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે.
શુક્રવારે જે નવ ગ્રહોની હારમાળા સર્જાવાની છે તેમાં બુધ, શુક્ર, મંગળ, ગુરૂ, શનિ, ઉપગ્રહ ચંદ્ર, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો જેવા ગ્રહોનો સમાવેશ થાય છે. સૌર મંડળમાં ખગોળીય ઘટના અવારનવાર બનતી હોય છ.ે પરંતુ એક સીધી લીટીમાં ગ્રહો જોવાનો આ નજારો અદ્દભુત બની રહેશે.
આ ગ્રહોનો નજારો માણવા ૨૪ મીની વહેલી સવારે અગાસી ઉપર અથવા ફલડ લાઇટોથી દુર નિર્જન જગ્યાએ દુરબીન કે ટેલીસ્કોપ સાથે ગોઠવાઇ જવા અંતમાં જાથાના જયંત પંડયાએ અનુરોધ કરેલ છે.