સવા વર્ષ પહેલા વડોદરાથી ભગાડાયેલી ૧૫ વર્ષની સગીરાનું સગર્ભાવસ્થામાં મોત થયું
રૈયામાં રહેતી મુળ દાહોદ પંથકની સગીરાને ઉધરસ-શ્વાસ સઉપડતાં હોસ્પિટલમાં ખસેડાઇ પણ દમ તોડી દીધોઃ વાલીવારસ રાજકોટ આવતાં યુનિવર્સિટી પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું
રાજકોટ તા. ૨૧: રૈયા ગામમાં પ્રેમી સાથે રહેતી ૧૫ વર્ષની દાહોદ પંથકની સગીરાને ગઇકાલે ઉધરસ ઉપડતાં ગુંદાવાડી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. આ સગીરાના પેટમાં ગર્ભ હોઇ પોલીસે તેના વાલીવારસને જાણ કરતાં તેઓ આજે આવી પહોંચતા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. સગીરાને સવા વર્ષ પહેલા પ્રેમી ભગાડી લાવ્યો હોવાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ રૈયા ગામમાં રહેતી ૧૫ વર્ષની દાહોદ પંથકની સગીરાને ગઇકાલે ઉધરસ ઉપડતાં અને શ્વાસ ચડતાં ગુંદાવાડી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. આ સગીરાના પેટમાં ગર્ભ હોવાનું તબિબને જણાતાં પોલીસને જાણ કરી હતી. યુનિવર્સિટી પીએસઆઇ પરમાર, ઇકબાલભાઇ મોરવાણીયા સહિતે સગીરાને ભગાડી લાવેલા શખ્સ પાસેથી સગીરાના માતા-પિતાનો નંબર મેળવી જાણ કરતાં તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતાં.
સગીરા પ્રેમી થકી જ સગર્ભા બન્યાનું પ્રેમીએ કહ્યું હતું. સવા વર્ષ પહેલા તે વડોદરામાં હરણી વિસ્તારની કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી સગીરાને ભગાડી લાવ્યો હતો અને લગ્ન વગર બંને રૈયામાં સાથે રહેતાં હતાં. બાળાના પરિવારજનોએ જે તે વખતે વડોદરા પોલીસમાં દિકરીને ભગાડી જવાયાની કાચી નોંધ કરાવી હતી. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા યુનિવર્સિટી પોલીસે તજવીજ કરી હતી.