ભાજપ કિસાન મોરચા દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ
રાજકોટ,તા. ૨૧: વિશ્વના સૌથી મોટા પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં જ પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તેમજ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી હિતેશભાઈ પટેલના નેતૃત્વમાં તથા પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી હિરિનભાઈ હીરપરા, સરદારભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાલમાં કિસાન મોરચો સક્રિય રીતે ગુજરાતભરમાં પ્રાથમિક સદસ્ય અભિયાનને પ્રભાવી બનાવી રહ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લાના લોધિકા ખાતે સૌરાષ્ટ્ર ઝોનના કિસાન મોરચાના સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ વિજયભાઈ કોરાટ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, લોધિકા તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ કમાણી, જી.પંચાયત સભ્યશ્રી મોહનભાઈ દાફડા, જીલ્લા અનુ.જાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડ સહીતના તાલુકાના કાર્યકર્તાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં પ્રદેશ કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમોના ઇન્ચાર્જ વિજયભાઈ કોરાટએ આગામી કાર્યક્રમની માહિતી આપી હતી. જેમાં કિસાન મોરચાના કાર્યકર્તા તેમજ હોદેદારોએ પોતાના ગામ, વોર્ડ તેમજ બુથમાં જયાં પેજ સમિતિ બનાવવામાં આવવી છે ત્યાં તે પેજ સમિતિના તમામ સભ્યોનો સંપર્ક કરીને પ્રાથમિક સદસ્ય બનાવવા તેમજ એક પણ સભ્ય રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવી, નવા લોકોને પણ ૭૮૭૮૧ ૮૨૧૮૨ નંબર ઉપર મિસ્ડકોલ કરાવીને મેસેજ દ્વારા આવતી લીંકમાં કિલક કરાવીને ફોર્મમાં સંપૂર્ણ વિગત ભરાવવી જેવી તકેદારી રાખવી. બુથ સુધીના એક પણ કાર્યકર્તા રહી ન જાય તેવી અંતમાં ટકોર પણ કરવામાં આવી હતી.