રાજકોટ
News of Saturday, 21st November 2020

ઓૈષધી અને આત્મબળથી કોરોનાની લડાઇ જીતવી ખુબ સરળઃ મંજુલાબેન

૮૨ વર્ષના માડી કહે છે-આંતરમન મજબૂત રાખશો તો કોરોનાનો ભય છેટો જ રહેશે

રાજકોટ તા.૨૧ : 'હું ૮૨ વર્ષે પહોંચી છું પણ આજસુધી મને કોઇ ગંભીર બીમારી થઇ હોયઅને એની સારવાર માટે હું હોસ્પિટલમાં દાખલ થઇ હોઉં એવું મને યાદ નથી. કોરોનાની શરૂઆતથી જ બધે સાંભળતી હતી કે,વૃદ્ઘો અને અન્ય બીમારી ધરાવતાં લોકો માટે કોરોના ઘાતક સાબિત થાય છે. પરંતુ જો તમારું આંતરમન મજબૂત હોય તો તમે અચૂકપણે કોરોનાને પણ હરાવી શકો છો. આ બાબત મેં ત્યારે અનુભવી જયારે હું પોતે કોરોનાગ્રસ્ત થઇ.'આ શબ્દો છે ૮૨ વર્ષે કોરોનાને પછાડનારા મંજુલાબેન પંડિતના.

રાજકોટના પંચાયતનગરમાં રહેતાં શૈલેશભાઇ પંડિતનાં માતા મંજુલાબેનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાંની સાથે જ આખું ઘર જાણે દોડતું થઇ ગયું પરંતુ દ્રઢ આત્મવિશ્વાસ ધરાવતા મંજુલાબેન તો નચિંત હતા અને પરિવારજનોને હિંમત આપી રહ્યા હતાં કે'ચિંતા ન કરો,મને કંઇ જ નહી થાય.'ડોકટર્સએ કહ્યું ઓકિસજન લેવલ ઓછું થશે તો દાખલ કરવા પડશે,અન્યએ કહ્યું સીટી સ્કેનનો રીપોર્ટ દર્શાવે છે કે,ફેફસામાં અંદાજે ૪૫ ટકા ઇન્ફેકશન પહોંચી ગયું છે. પરંતુ વર્ષોથી સમતોલ આહાર,નિયમિતતા અને સાત્વિક જીવનશૈલીના કારણે મંજુલાબેને કહ્યું,દાખલ તો થવું જ નથી,ડોકટર્સના માર્ગદર્શન હેઠળ ઘરે જ સારવાર લઇશ અને કોરોનાને હરાવીને જ રહીશ. અને આત્મબળના ટેકે ડોકટર્સના માર્ગદર્શન હેઠળ નિયમિત ઔષધિઓના સેવન સાથે કોરોનાનો મુકાબલો કરીને આજે મંજુલાબેન કોરોનાને હરાવી ચૂકયા છે.

તે કહે છે, 'મેં મન તો મજબૂત બનાવી જ લીધું હતું સાથે ડોકટર્સના સતત માર્ગદર્શન સાથે ચાર દિવસમાં હું સ્વસ્થ થઇ ગઇ હતી,ડોકટરની ટીમ નિયમિત બ્લડ-સુગર અને ઓકિસજન લેવલ ચકાસવા ઘરે જ આવતી.ઉકાળા,દવાઓના સેવનની સાથોસાથ ધીમે-ધીમે નબળાઇ દૂર થઇ અને હું ફરીથી તંદુરસ્ત થવા લાગી.અને ૧૪ દિવસ સુધી આ ક્રમને અનુસરી અંતે હું માંદગીને મ્હાત આપવામાં સફળ રહી.'

કોરોનાને પરાજિત કરનારા મંજુલાબબેન પંડિત મધુરા હાસ્ય સાથે કહી રહ્યા હતાં, 'ડાયાબીટીસ હોવા છતાં ૮૨ વર્ષેય કોરોનાને હરાવી શકાય છે,બસ જરૂર છે,સબળા આત્મબળના ઔષધની.'

(3:26 pm IST)