રાજકોટ
News of Saturday, 21st November 2020

બિનઅનામત વર્ગની હિન્દુ જાતિઓની યાદીમાં મોઢવણિક સમાજનો સમાવેશ

રાજકોટ, તા. ૨૧ :. રાજ્ય સરકારે બિનઅનામત વર્ગની હિન્દુ જાતિઓમાં વધુ ૨૦ જ્ઞાતિ તેમજ પેટા જ્ઞાતિનો સમાવેશ કરતો પરિપત્ર જારી કર્યો છે. જેમા સમગ્ર ગુજરાતમાં વિશાળ સંખ્યામાં પથરાયેલ મોઢવણિક સમાજનો પણ સમાવેશ થયો છે.

મોઢવણિક સમાજના અગ્રણી મુકેશ દોશીએ એક વર્ષ પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ બિનઅનામત આયોગના તત્કાલિન ચેરમેન હંસરાજભાઈ ગજેરા સમક્ષ ગાંધીનગર ખાતે રૂબરૂ મળી મોઢવણિક સમાજનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય નિર્ણય લઈ મોઢવણિક સમાજનો સમાવેશ કરતા સમસ્ત મોઢવણિક સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.

ઉલ્લેખનીય છે કે વેપાર, ધંધા અને ઉદ્યોગમાં સાહસિક અને સામાજિક અને રાજકીય ક્ષેત્રે વિશેષ પ્રદાન અદા કરનાર મોઢવણિક સમાજના અનેક તારલાઓએ રાષ્ટ્રહિત અને સમાજના ઉત્કર્ષ માટે અનેક મહાનુભાવો સક્રિય રહ્યા છે. માત્ર ભારતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના લોકો જેને આદરભાવથી આજે પણ નમન કરે છે એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ વિશ્વભરમાં ઉદ્યોગ ક્ષેત્રે ડંકો વગાડનાર ધીરૂભાઈ અંબાણી તેમજ એચ.ડી.એફ.સી. બેન્કના ચેરમેન દિપકભાઈ પારેખ પણ મોઢવણિક સમાજના છે. ગુજરાતમાં પણ અનેક મોઢવણિક સમાજના રત્નોએ વિવિધ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી છે. જેમા વિનોદભાઈ શેઠ, ચંપકભાઈ વોરા, ભાવનગરના અમોસા, સુરતના કિશોરભાઈ વાકાવાલા, ભાવનગરના મેહુલ વડોદરીયા, ભાવનગરના નગીનભાઈ શાહ, જામનગરના સુરેશભાઈ વડોદરીયા, સુરતના હેમંત અપટવાલા, ભાવનગરના મણીભાઈ ગાંધી, અમદાવાદના ધર્મેન્દ્રભાઈ મહેતા, ભાવનગરના અ.મો. શાહ સહિર્તીના લોકો રાજકીય ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે.

સામાજિક અને મોઢવણિક સમાજના અગ્રણી મુકેશ દોશીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હંસરાજભાઈ ગજેરા, મોઢવણિક સમાજ ગુજરાતના પ્રમુખ હર્ષદભાઈ શાહ, દિપકભાઈ ધોળકિયા, મોઢવણિક સમાજ રાજકોટના અગ્રણી ધર્મેશભાઈ શેઠ, પ્રનંદભાઈ કલ્યાણી, શ્રેયાંસ મહેતા, અશ્વિનભાઈ પટેલ, ગીતાબેન કે. પટેલ, ભાગ્યેશ વોરા, સરોજભાઈ ભાઠા, કેતન મેસવાણી, કિરેનભાઈ છાપીયા સહિતના અગ્રણીઓનો આ કાર્યમાં સહયોગ આપવા બદલ આભાર માન્યો છે.

(3:29 pm IST)