બેભાન હાલતમાં ૪ના મોત
જંગલેશ્વરના રમેશભાઇ, માયાણીચોકના વિજયભાઇ, જલારામ પ્લોટના દિલીભાઇ અને ઢાંઢીયાના કુકાભાઇએ દમ તોડયો
રાજકોટ તા. ૨૧: જુદા જુદા બનાવમાં ચાર લોકોએ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૧૧માં રહેતાં રમેશભાઇ મનજીભાઇ મેર (ઉ.૫૨) સાંજે ઘર પાસે બેઠા બેઠા બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. બીજા બનાવમાં માયાણી ચોક ઉમાકાંત ઉદ્યોગનગરમાં કારખાનામાં કામ કરતાં અને નજીકના ડેલામાં રહેતાં મુળ યુપીના વિજય ઉર્ફ છેદીલાલ લાલતાભાઇ ગુપ્તા (ઉ.૪૦)નું પણ બેભાન હાલતમાં મોત થયું હતું. તેને બે સંતાન છે.
ત્રીજા બનાવમાં નિર્મલા રોડ પર જલારામ-૧ અનમોલ એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતાં અને ત્યાં જ રહેતાં દિલીભાઇ નયનસિંગ સારકી (નેપાળી) (ઉ.૫૦) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત થયું હતું. મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર છે. ચોથા બનાવમાં રાજકોટના ઢાંઢીયા ગામના કુકાભાઇ મોહનભાઇ ઓળકીયા (કોળી) (ઉ.૬૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું. મૃતક ખેતી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. બનાવથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. ભક્તિનગર, માલવીયાનગર, ગાંધીગ્રામ અને આજીડેમ પોલીસે આ બનાવોમાં જરૂરી કાર્યવાહી કરી હતી.