પી.જી.વી.સી.એલ.ના કર્મચારી ઉપર ખુની હુમલાના કેસમાં આરોપીઓનો છુટકારો
રાજકોટ, તા. ર૦ : અત્રે શકિત સોસાયટી-ર, ભગીરથ કૃપા રાજકોટ મુકામે રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા પ્રફુલ શામજીભાઇ ગોઢાએ આરોપી (૧) અરજણભાઇ મોહનભાઇ સગર (ર) નિલેશભાઇ મોહનભાઇ સગર (૩) રમેશભાઇ મોહનભાઇ સગર (૪) અમિતભાઇ મોહનભાઇ સગરએ લાકડી, પાઇપ તથા બેઝ બોલના ધોકા તથા છરી વડે જીવલેણ હુમલો કરી મારમાર્યા અંગેની ફરીયાદ તા. ૦પ-૧૧-ર૦૦૮ ના રોજ રાજકોટ શહેર બી-ડીવીઝન પો. સ્ટે. માં નોંધાવેલ જે અંગેનો કેસ રાજકોટના એડી જયુ. મેજી.ફ.ક. કોર્ટમાં ચાલી જતા ચારેય આરોપીઓને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.
બનાવની હકિકત એવી છે કે આ કામના ફરીયાદી પ્રફુલભાઇ શામજીભાઇ ગોઢાના માતૃશ્રી સવિતાબેન ગોંડાએ આરોપી અરજણભાઇ મોહનભાઇ સગરને દિકરા ધર્મેશની સારવાર માટે રૂા. ૩,૦૦,૦૦૦/- ઉછીના આપેલા અને જે અંગેનો ચેક આપેલ જે ચેક રીટર્ન થતા ફરીયાદીના માતૃશ્રી એ આરોપી અરજણભાઇ મોહનભાઇ સગર તથા રમેશભાઇ મોહનભાઇ સગર સામે રાજકોટ કોર્ટમાં ધી નેગો. ઇન્સ્ટુ. એકટની કલમ-૧૩૮ હેઠળની ફરીયાદ દાખલ કરેલ. જે અનુસંધાને ચારેય આરોપીઓ સગા થતા હોય આરોપીઓએ તા. ૦પ-૧૧-ર૦૦૮ ના રોજ ફરીયાદી પ્રફુલભાઇના ભાઇ ભાવેશભાઇની પાનની દુકાને જઇ સમાધાન માટે પ્રફુલભાઇને સાંજે મોકલવા જણાવેલ જેથી પ્રફુલભાઇ આરોપીઓના લતામાં સાંજના આઠેક વાગ્યે પહોંચેલા ત્યારે આરોપીઓએ કેસો પાછા ખેંચી લેજે નહીં તો સારાવાટ નહી રહે તેમ કહી આરોપી નં. ૪ નાએ છરી કાઢી અને પડખામાં બે ઘા ઝીકી દીધેલ અને ગંભીર ઇજા કરેલ અને બીજા આરોપીએ લાકડી, ધોકા તથા બેઝ બોલથી પ્રફુલભાઇ ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કરેલ.
સદરહું કેસની સુનાવણી દરમ્યાન ફરીયાદી પ્રફુલભાઇ તથા તેમના ભાઇ ભાવેશભાઇ તથા અન્ય સાહેદોની જુબાનીઓ લેવામાં આવેલ તેઓએ તથા ડોકટર તથા તપાસનીસ અધિકારીએ ફરીયાદ પક્ષના કેસને સમર્થન આપેલ. ત્યારબાદ સદરહું સાહેદોની તેમના એડવોકેટ અમિત એસ. ભગત દ્વારા લંબાણપૂર્વક ઉલટ તપાસ કરવામાં આવેલ ત્યારબાદ સદરહું કેસ દલીલ માટે આવેલ. ફરીયાદ પક્ષ તથા આરોપી પક્ષ તરફથી કરવામાં આવેલ. રજુઆતોના અંતે નામદાર કોર્ટ દ્વારા આરોપી પક્ષ તરફથી રજુઆતો માન્ય રાખી ચારેય આરોપીઓને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.
આ કામમાં બચાવ પક્ષે રાજકોટના ધારાશાષાીઓ શ્રી અમિત એસ. ભગત એ.ડી. સદાવ્રતિ, ધર્મેન્દ્રભાઇ બરવાડીયા તથા હીરેન્દ્રસિંહ આર. ચૌહાણ તથા મનસુખ સોલંકી રોકાયેલા હતા.