તમામ મંડલો પર 'યોગ દિવસ' ઉજવણી : આગામી આયોજનો અર્થે જિલ્લા ભાજપ કાર્યાલયે બેઠક
રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અનુસાર આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર હોય જે અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાની અધ્યક્ષતામાં તથા જીલ્લા સંગઠન પ્રભારીશ્રી રક્ષાબેન બોળીયા, મહામંત્રીશ્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલાની ઉપસ્થિતીમાં યોજાઇ હતી. આ બેઠકમાં જીલ્લા ઉપપ્રમુખો ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, નીતિનભાઇ ઢાંકેચા, ખોડાભાઇ ખસીયા, તળશીભાઇ તાલપરા, રીનાબેન ભોજાણી, જીલ્લા મંત્રી અલ્પેશભાઇ ઢોલરીયા, પ્રાગજીભાઇ કાકડિયા, રમાબેન મકવાણા, બિદીયાબેન મકવાણા, જીલ્લા કોષાધ્યક્ષ કિશોરભાઇ શાહ, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોશી, મહામંત્રી જીજ્ઞાબેન પટેલ સહિતના તમામ મંડલના પ્રમુખ તથા મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા તથા જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાએ બેઠક સંબોધી કાર્યકરોને માર્ગદર્શન પુરૂ પાડેલ.આ બઠેકમાં ઉપસ્થિત સર્વે હોદેદારોને જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા તથા મનસુખભાઇ રામાણીએ આગામી કાર્યક્રમની માહિતી આપી હતી. ૨૩ મીએ બલિદાન દિવસ એટલે કે જનસંઘના સ્થાપક પ્રમુખ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા તથા જીલ્લાના તમામ મંડલોમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવશે. તેમજ જીલ્લાના અગ્રણીશ્રીઓ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન વૃતાંત વિષે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે. તા. ૨૫ જુનથી તા. ૬ જુલાઇ સુધી જીલ્લામાં 'મેરા બુથ, રસીકરણ યુકત' અંતર્ગત ૪૫ વર્ષથી ઉપરના લોકોને રસીના બંને ડોઝ તેમજ ૧૮ વર્ષથી ઉપરના તમામ વ્યકિતને રસીકરણના કાર્યક્રમો કરવા તથા રસીકરણનો પ્રથમ ડોઝ લેનારને બીજો ડોઝ લેવા માટે પ્રોત્સાહિત જેવા અભિયાન શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં ઉપસ્થિત સર્વે જીલ્લા હોદ્દેદાર તથા મંડલના પ્રમુખ-મહામંત્રીઓનું સ્વાગત કરવા જીલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઇ ચાંગેલાએ કર્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા જીલ્લા કાર્યાલય પ્રભારી અલ્પશેભાઇ અગ્રવાલત, વિવેક સાતા, કિશોર ચાવડા, તન્મય ઉપાધ્યાય સહિતનાએ કરી હતી.