રાજકોટ
News of Saturday, 23rd January 2021

સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે ૠષિકુમારો અને સંતો દ્વારા ભાગવતજીનું ફૂલહારથી સ્વાગત

સારા જીવન માટે સંતનું સાનિધ્ય શ્રેષ્ઠ : મોહન ભાગવતજી

સંઘના વડા શ્રી મોહન ભાગવતજી બે દિવસ રાજકોટમાં છે. તેઓ આ બંને દિવસ સંઘના કાર્યકરો સાથે જ બેઠક યોજી ચર્ચા વિચારણા કરનાર છે. અન્ય કોઈ તેઓનો કાર્યક્રમ નથી. દરમિયાન આજે સવારે ભાગવતજીનું સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે આગમન થયુ હતું. તે પ્રસંગે ગુરૂકુળના ૠષિકુમારો અને સંતો દ્વારા તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. ૠષિકુમારોએ મંત્રોચ્ચાર કર્યા હતા. તો સ્વામીનારાયણ ગુરૂકુળના પૂ.લક્ષ્મીનારાયણ સ્વામી, પૂ.હરિપ્રિયસ્વામી, પૂ.સંતસ્વામી સહિતના સંતો - મહંતોએ ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે ભાગવતજીએ કહ્યું કે સારા જીવન માટે સંતનું સાનિધ્ય શ્રેષ્ઠ છે. તમે તો સંતો કહેવાય, તમારે નહિં પણ અમારે તમને ફૂલહારથી સન્માન કરવું જાઈએ. ત્યારબાદ તેઓ ગુરૂકુળના પ્રાર્થના હોલમાં ચાલી રહેલ સભામાં જોડાઈ ગયા હતા. સભામાં સંઘના ૧૫૦થી વધુ કાર્યકરો સાથે તેઓ સંઘની કામગીરી અંગે ચર્ચા - વિચારણા સાથે માર્ગદર્શન પણ આપનાર છે. તેઓના આગમન પ્રસંગે ગુરૂકુળના સંકુલમાં સુંદર રંગોળી સજાવવામાં આવી હતી.
 

(12:11 pm IST)