રાજકોટ
News of Saturday, 23rd January 2021

અંતે પોલીસ - ખેડૂતો વચ્ચે સમાધાન

૨૭મીએ વિના રોકટોક ખેડૂત સંમેલનને મંજૂરી

૨૬મીએ દિલ્હી પરેડમાં કોઇ અઘટીત ઘટના ન બને તો ૨૭મીનું સંમેલન મળશે : કિશાન સંઘર્ષ સમિતિની જાહેરાત

રાજકોટ તા. ૨૩ : ખેડૂત સંમેલન માટે અંતે પોલીસે મંજુરી આપી દીધી છે અને ૨૭મીએ ૧૫૦ રીંગ રોડ - લાયન વોટર પાર્ક ખાતે યજોાશે તેમ કિશાન સંઘર્ષ સમિતિની યાદીમાં જણાવાયું છે.

આ અંગે સમિતિની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા તારીખ ૨૨ મી એ રાજકોટમાં ખેડૂત સંમેલન યોજવાનું આયોજન હતું પ્રશાસન દ્વારા તારીખ ૨૦ના રોજથી ખેડૂત આગેવાનોને નજરકેદ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું ખેડૂતોને રાજકોટ સંમેલનમાં જતા અટકાવવાના ભરપૂર પ્રયાસો થઈ રહ્યા હતા અને છેલ્લે સુધી મંજુરી ન આપી ખેડૂત સંમેલન નિષ્ફળ કરવાના સરકારના મરણીયા પ્રયાસ સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો ૨૧ તારીખે ધરણાં પર બેસી ગયા હતા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ હતી કે અમને જેવી રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ વગર રોકટોક કાર્યક્રમ કરી શકે છે તેવી રીતે કાર્યક્રમ કરવાની છૂટ આપવામાં આવે, ખેડૂતોને સંમેલનમાં જતા રોકવામાં ન આવે, કોઈ ખેડૂત આગેવાનોને નજરકેદ કરવામાં ન આવે તેવી માંગ સાથે ત્રણ વખત ધરણાંમાં બેઠા અને ત્રણ વખત અટક કરી લેવાયા છેલ્લે ૮ લોકો સામે ગુનો પણ દાખલ કરાયો જેમાં ૫ ખેડૂત આગેવાન ડાયાભાઇ ગજેરા, વસરામભાઈ સાગઠિયા, હરિચન્દ્રસિંહ જાડેજા, ભૂપતસિંહ ઝાલા, ભાવેશ લુણાગરિયા અત્યારે પણ જેલમાં છે આજે એમને જામીન મળે તેવી શકયતા છે

ગઈ કાલે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સભ્યો પાલભાઈ આંબલિયા, અરૂણભાઈ મહેતા, ગિરધરભાઈ વાઘેલા, રાજુભાઈ કરપડા, હિરેન ખાંટ, ચેતન ગઢિયા, પી.આર. જાડેજા સહિત બે ધારાસભ્યશ્રીઓ હર્ષદ રીબડીયા અને બાબુભાઇ વાઝા સહિતના આગેવાનો રાજકોટ પોલીસ કમિશ્નરને મળવા ગયા હતા કમિશનર સાહેબ ઉપસ્થિત ન હોય મનોહરસિંહ જાડેજા(DCP) અને બસિયા (ACP ક્રાઈમ)ને મળ્યા હતા ચર્ચાના અંતે મનોહરસિંહ જાડેજાએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ખેડૂત આગેવાનો અને ધારાસભ્યશ્રીઓને બાંહેધરી આપી હતી.

તમે નવી તારીખમાં મંજુરી માંગો અમે મંજૂરી આપશું, વગર રોકટોક કાર્યક્રમ કરવાની, મેદાનની કેપેસિટી કરતા અર્ધી સંખ્યા ભરવાની મંજૂરી આપશું પણ શરત એટલી છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ૨૬ ની દિલ્હીની ખેડૂતોની મહા પરેડમાં જો કોઈ અઘટિત ઘટના બને અને કાયદો અને વ્યવસ્થામાં અડચણરૂપ થાય એમ હશે તો અમે આ બાંહેધરી અંગે ફેર વિચારણા કરીશુ બન્ને ધારાસભ્યશ્રીઓ અને ખેડૂત આગેવાનોએ સહમતી બતાવી અંતે આવનારી ૨૭ જાન્યુઆરી એ ખેડૂત સંમેલન કરવાની મંજૂરી માંગી લેવામાં આવી છે અને આવનારી ૨૭ જાન્યુઆરી એ ખેડૂત સંમેલન યોજાશે.

(3:25 pm IST)