વોર્ડ નં.૧-૨ના ક્ષત્રિય સમાજના બહેનો માટે ભવ્ય રાસોત્સવ
શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ગાંધીગ્રામ સ્થિત આશાપુરા મંદિરે નવ દિવસીય આયોજન : દીકરીબાઓ, મહિલાઓ પરંપરાગત વેશભુષામાં માતાજીની આરાધના કરશેઃ તલવાર રાસ આકર્ષણ જમાવશેઃ ઈનામોની વણઝાર
રાજકોટઃ સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ કરતા આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ગાંધીગ્રામ ૮૦ ફૂટ રીંગ રોડ (આશાપુરા રોડ) એરપોર્ટ દિવાલ પાસે આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરે વોર્ડનં.૧-૨ના ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે ૨૬ સપ્ટેમ્બર થી ૪ ઓકટોબર દિવસ ૯ જાજરમાન રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ક્ષત્રિય પરિવારની નાની બાળાઓ સહિત તમામ મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં મનમૂકીને ગરબે રમશે.
શ્રી આશાપુરા માતાજીના મંદિરમાં બિરાજમાન શ્રી આશાપુરા માતાજી, શ્રી શકિત માતાજી તથા શ્રી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં યોજાનાર આ રાસોત્સવમાં ક્ષત્રિય સમાજના પરિવારની બાળાઓ અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં નોરતાના ૯ દિવસ સુધી માતાજીની આરાધના કરશે.
આ રાસોત્સવનું સંચાલન મહિલાઓ જ કરશે. શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ મહિલા મંડળના દુર્ગાબા જાડેજા (કોર્પોરેટર વોર્ડ નં.૧), પુજાબા જાડેજા, હર્ષાબા જાડેજાની ટીમ આ ભવ્ય રાસોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટના હોદેદારોએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૧ તથા ૨ માં રહેતા ક્ષત્રિય પરિવારો વચ્ચે આત્મિયતા જળવાઈ રહે તે હેતુથી આ વર્ષે પ્રથમવાર ક્ષત્રિય પરિવારની મહિલાઓ માટે નિઃશુલ્ક ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. રાસોત્સવમાં ૯માં દિવસે બેસ્ટ પરફોર્મન્સ દાખવનાર મહિલાઓને ઈનામોથી નવાજવામાં આવશે. રાસોત્સવનો સમય રાત્રીના ૮:૩૦ થી ૧૧:૩૦ રહેશે.
શ્રી આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પ, રકતદાન કેમ્પ સહિતના સેવાકીય અને સામાજિક કાર્યોની અવિરત સેવા ચાલુ છે. ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પ્રથમવાર ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે જાજરમાન રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
રાસોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઈન્દુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, રાજભા ઝાલા (એડવોકેટ), મહાવીરસિંહ જાડેજા (મોટા મૌવા), પ્રવિણસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ચુડાસમા, મહિપતસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા તથા ક્ષત્રિય સમાજ મહિલા મંડળના દુર્ગાબા જાડેજા, પુજાબા જાડેજા, હર્ષાબા જાડેજા, પ્રવીણાબા જાડેજા, જયશ્રીબા, ભાવનાબા, વિષ્ણુબા, જયાબા, નંદુબા જાડેજા, પ્રફુલાબા જાડેજા, ગીતાબા જાડેજા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
આ અંગે વધુ માહિતી માટે હર્ષાબા મો.૯૨૬૫૩ ૭૪૫૬૮ અને પૂજાબા વનરાજસિંહ જાડેજા મો.૮૭૫૮૩ ૦૦૮૦૦નો સંપર્ક કરી શકાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)