હરિ ધવા રોડ પર રંગીલા પાર્કમાં કિશન રાઠોડનો આર્થિક ભીંસને લીધે આપઘાત
માતા રૂમમાં જતાં પુત્ર લટકતો જોવા મળ્યોઃ પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. ૨૩: કોઠારીયા રોડ હરિ ધવા માર્ગ પર જ્ઞાનગંગા સ્કૂલ પાસે રહેતાં કિશન અમરશીભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) નામના યુવાને છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
રાતે બનાવની જાણ ૧૦૮ મારફત થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી તથા મદદનીશ કુલદિપસિંહે બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કિશન એક બહેનથી નાનો અને અપરિણીત હતો. હાલમાં તે કામની શોધમાં હતો. તેના પિતાને ઘર સાથે જ ફલોર મીલ છે. રાતે પિતા મીલમાંથી ઘરમાં આવી ન્હાવા ગયા હતાં. માતા છેલ્લ રૂમમાં જોવા જતાં ત્યાં દિકરો કિશન લટકતો જોવા મળતાં તેમણે દેકારો મચાવી મુકતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને ૧૦૮ બોલાવી હતી. પરંતુ કિશનને તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. આર્થિક ભીંસને લીધે આ પગલુ ભર્યાની પ્રાથમિક શક્યતા પરિવારજનોએ જણાવી હતી. વધુ તપાસ યથાવત રાખવામાં આવી છે. યુવાન અને એકના એક દિકરાના આ પગલાથી રાઠોડ પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.
કેન્સરથી કંટાળી ભરતભાઇ ઝેરી પ્રવાહી પી ગયા
અન્ય બનાવમાં ભરતભાઇ બચુભાઇ બડેલીયા-પ્રજાપતિ (ઉ.વ.૫૭) (રહે. શ્રીરામ ટાઉનશીપ, સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે) સવારે નવેક વાગ્યે મચ્છર મારવાનું લિક્વીડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ભરતભાઇને સંતાનમાં બે પુત્રી છે અને પોતે કારખાનામાં મજૂરી કરે છે. દસેક માસથી કેન્સરની બિમારી કંટાળીને પી ગયાનું તેમણે કહ્યું હતું.