ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટનો આદેશ
રાજકોટ,તા. ૨૩ : ફરિયાદી સંતોષભાઇ મરાલીયાએ અત્રેની કોર્ટમાં ચેક રીટર્ન થયા અંગેનો નેગો. ઇન્સ્યુ. એકટ ૧૩૮ હેઠળનો કેસ ચાલી જતા કોર્ટ આરોપીને એક વર્ષની સજા કરતો હુકમ ફરમાવેલ છે.
આ કેસની વિગત એવી છે કે ફરિયાદી સંતોષભાઇ ગોવિંદભાઇ મહાલીયાએ નવા થોરાળામાં રહેતા રેખાબેન ભરતભાઇ પરમારને સંબંધના દાવે અંગત ઉપયોગ માટે રૂા. ૨૦,૦૦૦ હાથ ઉછીના પેટે વગર વ્યાજે આપેલા હતા. જેની ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને બેંક ઓફ ઇન્ડિયાનો ચેક આપેલ જે ચેક બેંકમાં જમા કરાવતા ચેક ફંડ ઇનસફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ. જેથી ફીરયાદીએ આરોપીને નોટીસ પાઠવેલ આમ છતાં આરોપીએ રકમ ન ચુકવતાં ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ.
આ કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા અને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા પુરાવાઓ તથા દલીલો ધ્યાને લઇ અદાલતે આરોપીને ૧ વર્ષની સજા ફરમાવતો હુકમ કરેલ છે. તેમજ ચેકની રકમ આરોપી મળ્યેથી એક માસમાં ચુકવી આપવી અને આમ છતાં ન ચુકવે તો છ માસની સજા કરતો હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં ફરિયાદી સંતોષભાઇ મહાલીયા તરફથી વકિલશ્રી દિપક દત્તા, મનોજ સોલંકી, સુરેશ પંડયા, યોગીરાજસિંહ રાણા તથા વિજય અંટાળા રોકાયેલ હતા.