માત્ર ધોકાવાળીમાં નહિ, મદદમાં પણ અવ્વલ રાજકોટ પોલીસ
કર્ફયુ સમયે બહારગામથી આવતાં લોકોને પોલીસે પીસીઆર વેન-બોલેરોમાં બેસાડી ઘરે પહોંચાડ્યા
રાજકોટઃ કોરોનાને કારણે શહેરમાં રાત્રીના નવથી સવારના છ સુધી કર્ફયુનો અમલ શરૂ થયો હોઇ શહેરની ચેકપોસ્ટ માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડીએ કર્ફયુ સમયમાં બહારગામથી પહોંચતા લોકોને પોતાના ઘરે પહોંચવા રિક્ષા કે બીજા કોઇ વાહનો ન મળતાં મુશિબતમાં મુકાયા હતાં. આ અંગેની જાણ થતાં પોલીસ મદદે આવી હતી. લોકો જાહેરનામાનો કડક અમલ કરે એ માટે જરૂર પડ્યે ધોકા પણ ઉપાડી લેતી પોલીસ અહિ માનવતા દાખવવા મદદે આવી હતી. પોલીસે પીસીઆર વેન અને બોલેરો ગાડી મારફત લોકોને તેમના ઘરે સુધી પહોંચાડ્યા હતાં. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ તમામ એસીપી, તમામ પીઆઇએ ફરજ પરના સ્ટાફને સુચના આપી છે અને કર્ફયુ સમય શરૂ થઇ ગયા પછી બહારગામથી ચેકપોસ્ટ પર પહોંચતા લોકોને તેમના ઘર સુધી સહીસલામત પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હોઇ સ્ટાફ આ રીતે માનવતા દાખવી રહ્યો છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)