વ્યાજખોરીને લીધે સામુહિક આપઘાતના પ્રયાસમાં પુત્ર બાદ માતાનું પણ મોતઃ વેપારીની હાલત ગંભીર
પત્નિ-પુત્ર હયાત નહિ રહ્યાની વાતથી વેપારી કીર્તિભાઇ ધોળકીયાને અજાણ રખાયા : પરિવારને મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપી ધવલ મુંધવા જેલહવાલે
સોની વેપારી સારવાર હેઠળ છે જ્યારે તેમના પત્નિ અને પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે
રાજકોટ તા. ૨૨: શહે૨ના યુનિવર્સિટી રોડ પરના મિલાપનગરમાં રહેતા સોની વેપારીએ શુક્રવારે મોડી રાતે પત્નિ અને પુત્ર સાથે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં ત્રણેય સારવાર હેઠળ હતાં. જેમાં રવિવારે પુત્રનું અને ગઇકાલે માતાનું મોત નિપજતાં સોની પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જ્યારે સોની વેપારી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પત્નિ અને પુત્ર હયાત નહિ રહ્યાની વાતથી તેને અજાણ રખાયા છે. યુનિવર્સિટી પોલીસે વેપારીના પુત્રની ફરિયાદ પરથી ચાર વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો હતો અને એક આરોપીને પકડી લીધો હતો. આ આરોપી જેલહવાલે થયો છે. અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ યથાવત રખાઇ છે.
યુનિવર્સિટી રોડ મિલાપનગર-૨માં રહેતા કીર્તિભાઇ હરકિશનભાઇ ધોળકિયા (ઉ.વ.૪૭) નામના સોની વેપારીએ પત્નિ માધુરીબેન (ઉ.વ.૪૬) અને પુત્ર ધવલ (ઉ.વ.૨૪) સાથે શુક્રવારની મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી. શનિવારે કીર્તિભાઇ દુકાને નહિ આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસે કીર્તિભાઇના પુત્ર ધવલ (ઉ.વ.૨૪)ની પાસેથી વિગતો જાણી તેની ફરિયાદ પરથી ચાર આરોપીઓ સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબશા સામે મનીલેન્ડ એક્ટ, આઇપીસી ૩૮૬, ૫૦૬(૨)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ધવલનું મૃત્યુ નિપજતાં કલમ ૩૦૬નો ઉમેરો કરવામાં આવ્યો હતો.
ધવલ ધોળકીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે પરિણીત છે અને હાલ પત્નિ અમરેલી પિયર ગઇ છે. પોતે અને પિતા ઝેરોક્સની દુકાન ચલાવે છે. શુક્રવારે રાતે પિતાએ વાત કરી કે, આપણે વ્યાજે લીધેલા નાણાંની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી અમારી માલિકીની ઝેરોક્સની દુકાન લખાવી લેવા સતત ફોન પર ધમકી આપે છે, જેથી હવે મરવા સિવાય કોઇ રસ્તો નથી. જે વાતથી પોતે અને મમ્મી સહમત થતા પિતા કીર્તિભાઇએ ઝેરી દવાની બોટલ કાઢી હતી. જે ઝેરી દવા પાણીમાં ભેળવી પી લીધી હોવાનું જણાવ્યું હતું.
ધવલે વધુમાં જણાવ્યું હતું કે ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.૧૦ લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.૫૦ હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી રૂ.૮ લાખ લીધા હતા. જેનું સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત પિતાને પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને પગલું ભર્યાનું ધવલે પોલીસને જણાવ્યું છે. જો કે અન્ય કયા કયા વ્યાજખોર પાસેથી પિતાએ નાણાં લીધા છે તે પોતાને ખબર નથી. પરંતુ તેમના મોબાઇલની કોલ ડિટેઇલમાં નાણાંની ઉઘરાણી કરી ધમકી દેનાર વ્યાજખોરોના નંબર મળી શકે તેમ હોવાનું જણાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
બીજી તરફ સારવાર દરમિયાન રવિવારે સાંજે ધવલે દમ તોડી દીધો હતો. એક સ્વજનની અંતિમવિધીમાં પરિવારજનો હજુ સ્વસ્થ નહોતા થયા ત્યાં ધવલના માતા માધુરીબેને ગત રાતે દમ તોડી દેતાં પરિવારજનો પર વજ્રઘાત થયો હતો. મિલાપનગરમાં ધોળકીયા પરિવારના આંગળેથી એક દિવસે દિકરાની અને બીજા જ દિવસે માતાની અંતિમયાત્રા નીકળતાં ગમગીની છવાઇ ગઇ હતી. ઘરના મોભી કીર્તિભાઇ ધોળકીયા સારવાર હેઠળ છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે યુનિવર્સિટી પોલીસને કરી હતી.
પોલીસે એક આરોપી ધવલ સમીરભાઇ મુંધવા (રહે. કેવડાવાડી-૩)ની ધરપકડ કરી લીધી હતી. જે જેલહવાલે થયો છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી ભાર્ગવ પંડયાની રાહબરીમાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ બી. વી. ઝાલા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મહિપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ જે. ખેર, કોન્સ. બલભદ્રસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ સહિતે અન્ય આરોપીઓની તપાસ યથાવત રાખી છે. ફરાર પૈકીના એક આરોપીએ દરરોજનું દસ ટકા લેખે પચાસ હજાર વ્યાજ વસુલ્યાની વિગતો સામે આવી રહી હોઇ તે અંગે તપાસ શરૂ થઇ છે. કીર્તિભાઇના મોબાઇલમાંથી ઓડિયો ક્લીપ પણ મળી છે તેના આધારે પણ તપાસ શરૂ થઇ હોવાનું જાણવા મળે છે.