મનપાના નવ નિયુકત આરોગ્ય અધિકારી ડો.વકાણીએ ચાર્જ સંભાળ્યો : કોરોનાને પ્રાધાન્ય
રાજકોટ તા. ૨૪ : મ.ન.પા.ના નવનિયુકત આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ આજે સોમવારે ચાર્જ સંભાળી લીધો છે.
ગત સપ્તાહે મળેલા જનરલ બોર્ડમાં મનપાના આરોગ્ય અધિકારી તરીકે ડો.જયેશ વકાણીની નિમણુંક કરવામાં આવી હતી. ડો. વંકાણી ભાવનગર જિલ્લાના શીહોર તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવી ચુકયા છે અને હવે રાજકોટમાં તેઓની સેવાનો લાભ મળશે.
આ અંગે ડો.જયેશ વકાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, રાજકોટની સેવાનો મોકો મળ્યો છે. શહેરમાં કોરોના કેસોમાં વધારો ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, અમે વર્તમાન પરિસ્થિતિને પ્રાધાન્ય આપી કામગીરી આગળ વધારીશુ. આરોગ્ય વિભાગનાં અધિકારીઓ, કર્મચારી સાથે મીટીંગ કરી સંકલન કરાશે અનેં કોરોનાની માહમારી નાથવા પુરતા પ્રયાસો કરાશે.
અત્રે નોંધનીય છે કે, પાંચ વર્ષ બાદ મનપામાં કાયમી આરોગ્ય અધિકારીની ખોટ પુરી થઇ છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ઇન્ચાર્જ તરીકે ડો. લલિત વાંજાએ કપરા સમયમાં પણ કાબીલે દાદ સેવાઓ આપી બાજી સંભાળી હતી. કોરોનાની બીજી લહેર વખતે તેઓએ પરિસ્થિતી કંટ્રોલ કરવા સફળ કામગીરી હાથ ધરી હતી. વેકસીનેશન, કોરોના ટેસ્ટીંગ સહીતની કામગીરી તેઓએ સુપેરે પાર પાડી હતી.