અંજનાને સોનાના બુટીયા લેવા'તા પણ પિતાએ આર્થિક મંદી હોઇ બાલી લઇ દેતાં દુઃખ લાગ્યું: ફાંસો ખાઇ આપઘાત
રેલનગર બાલાજી પાર્કમાં એકની એક ૨૧ વર્ષિય દિકરીના પગલાથી સંચાણીયા પરિવારમાં કલ્પાંત
રાજકોટ તા. ૨૪: રેલનગરમાં પાણીના ટાંકા પાસે બાલાજી પાર્કમાં રહેતી અંજના મુકેશભાઇ સંચાણીયા (ઉ.વ.૨૧) નામની યુવતિએ ઘરના ઉપરના રૂમમાં પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પિતાએ હાલના આર્થિક મંદીના સમયમાં દિકરીને સોનાના બુટીયાને બદલી સોનાની બાલી લઇ દેતાં તેણીને દુઃખ લાગતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ બાલાજી પાર્કમાં રહેતાં અને કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં મુકેશભાઇ માધવજીભાઇ સંચાણીયાની દિકરી અંજના બપોર બાદ ઉપરના રૂમમાં સુવા ગઇ હતી. સાંજે છએક વાગ્યે માતા ઉષાબેન તેણીને ઉઠાડવા ગયા ત્યારે દરવાજો ખુબ ખખડાવવા છતાં નહિ ખોલતાં તેમણે દિકરા ચિરાગને જાણ કરતાં તે કામેથી તાકીદે ઘરે પહોંચ્યો હતો અને હથોડાથી દરવાજો તોડીને જોતાં બહેન લટકતી દેખાતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
અંજનાને તાકીદે નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આપઘાત કરનાર અંજના એક ભાઇથી નાની અને માતા-પિતાની એકની એક લાડકી હતી. તેણીના ભાઇના કહેવા મુજબ બહેન અંજનાને સોનાના બુટીયા લેવા હતાં. પણ લોકડાઉન પછી કામ બરાબર જામ્યું ન હોઇ પિતાએ તેણીને હાલમાં સોનાની બાલી લઇ લેવા અને થોડા દિવસો પછી બુટીયા લઇ દેશે તેમ કહી ગઇકાલે જ સોનાની બાલી અપાવી દીધી હતી. પણ આ કારણે તેણી દુઃખ થઇ ગઇ હતી અને આ પગલુ ભરી લીધું હતું.
એએસઆઇ કનુભાઇ માલવીયા અને પરાક્રમસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.