રાત્રી કર્ફયુને કારણે પ્રસંગો રદ્ થવા લાગ્યા
મ.ન.પા.ના ૧૦ ટકા હોલ બુકીંગ કેન્સલ
લગ્ન પ્રસંગોમાં ૫૦ વ્યકિતઃ રાત્રીના પ્રસંગો બંધ અને પોલીસની મંજુરી સહિતની બાબતોથી યજમાનો બન્યા ચિંતીત
રાજકોટ, તા. ૨૪ :. કોરોનાનો પ્રકોપ વધતા સરકારે લગ્ન પ્રસંગોની મંજુરીમાં કડક નિયમો લાગુ કરી દીધા છે. સાથોસાથ રાત્રી કર્ફયુ પણ અમલમાં હોય તેથી રાત્રીના લગ્નની મંજુરી પણ અટકાવી દેતા હવે યજમાનો તેમના હોલ અને પાર્ટી પ્લોટના બુકીંગ રદ કરાવી રહ્યા છે.
આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં લગ્નગાળાની સીઝન છે ત્યારે અનેક લોકોએ મ.ન.પા. સંચાલીત કોમ્યુનીટી હોલના બુકીંગ ત્રણ મહિના અગાઉથી કરાવી લીધા છે.પરંતુ હવે શહેરમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે તેથી સરકારે રાજકોટમાં રાત્રી કર્ફયુ મુકી દીધો છે અને કર્ફયુ દરમિયાન લગ્ન પ્રસંગો નહી યોજવા ફરમાન કર્યુ છે.
સાથોસાથ દિવસના પ્રસંગોમાં ઓછા ૫૦ વ્યકિત અને હોલની કેપેસીટીના ૫૦ ટકા વ્યકિતઓમાં પણ વધુમાં વધુ ૧૦૦ વ્યકિતઓ સાથે પોલીસની મંજુરી બાદ જ પ્રસંગો યોજવા દેવાશે. તેવા કડક નિયમોની અમલવારી આજથી જ શરૂ કરી દીધી છે.
આમ હવે લગ્ન પ્રસંગો માટે કડક નિયમો આવતા પ્રસંગોના યજમાન પરિવારો ચિંતીત બન્યા છે. જેના કારણે મ.ન.પા.ના કુલ ૧૭ હોલ પૈકી ૧૦ ટકા હોલના બુકીંગ રદ થઈ ગયા છે.