રાજકોટ
News of Thursday, 24th November 2022

ભૂલેશ્વર મહાદેવ મંદિરે ત્રિ-દિવસીય ૧૦૮ કુંડી શ્રી રામ મહાયજ્ઞ : સંત સંમેલન

કોઠારીયા ખાતે તા. ૩૦ થી વિશ્વ કલ્‍યાણ અર્થે

રાજકોટ, તા. ર૪ : શહેર નજીકના   રાજકોટમાં કોઠારિયા ગામ ખાતે આવેલા ભુલેશ્વર મહાદેવ ખાતે ૩૦મી નવેમ્‍બરથી ભવ્‍યાતિભવ્‍ય ૧૦૮ કુંડી શ્રીરામ મહાયજ્ઞ યોજવામાં આવશે. ત્રિદિવસીય યજ્ઞ સમારંભ નિમિત્તે વિશાળ સંત સંમેલન પણ યોજાશે.

શ્રી જીથુડી હનુમાનજી મંદિર - જેતપુરના મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ મહંતશ્રી રામદયાલદાસજી બાપુના અધ્‍યક્ષસ્‍થાને તથા શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી રામરૂપદાસજી (શ્રી ભક્‍ત ચેલૈયાધામ, નવાગામ બિલખા)ના સાંનિધ્‍યમાં આ ૧૦૮ કુંડી હોમાત્‍મક મહાયજ્ઞનો પ્રારંભ થશે.

જેમાં તા. ૨૯ ને મંગળવારના રોજ સવારે ૮ કલાકે કળશયાત્રા નીકળશે. હેમાદ્રી પ્રાયતિઃ દશવિધિ સ્‍થાન, પ્રાયતિ હોમ સાંજે ૪ વાગ્‍યાથી થશે. તા. ૩૦  થી ૨ ડિસેમ્‍બર સુધી રોજ સવારે ૮થી ૧૨ તથા બપોરે ૩થી ૬ યજ્ઞાદિ સહિતની વિધિઓ થશે.

આ મહાયજ્ઞ દરમિયાન દરરોજ સવારે ૮.૩૦ કલાકે સંતોના સામૈયા થશે. ધર્મસભા દરરોજ સવારે ૯થી ૧૨ તથા બપોરે ૩થી  ૬ યોજાશે. દરરોજ સાંજે ૬થી ૮ ગરબા તેમજ સંતવાણી અને સાંસ્‍કળતિક કાર્યક્રમો પણ થશે.

આ અવસરે બાળકો માટે અહીં વિશાળ આનંદમેળાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં મોટા ફજર ફાળકા, ટોરાટોરા સહિત ચકડોળ પણ છે. ઉપરાંત રોજ બે લાખ માણસો સવાર, બપોર, સાંજ ભોજન પ્રસાદ લઈ શકે તે માટે વિશાળ રસોડું પણ શરૂ કરવામાં આવશે.

(3:52 pm IST)