ગીતા વિદ્યાલય ખાતે ગીતા જયંતિની ધર્મમય ઉજવણી થશે
રાજકોટ,તા.૨૪: આગામી તા.૩ ડિસેમ્બરના શનિવારે જામનગરમાં કાશીવિશ્વનાથ મંદિર પાસે ગીતા વિદ્યા ભવનમાં સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ દરમ્યાન સામૂહિક ગીતા પાઠ થશે. રાજકોટમાં જંકશન પ્લોટ,પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટ -ગીતા મંદિરમાં સાંજે ૪.૩૦ થી ૭.૩૦ દરમ્યાન ભાવસભર વાતાવરણમાં શ્રધ્ધાભકિતપૂર્વક ભગવદ્ગીતા તથા શ્રીકૃષ્ણ પરમાત્માનું પૂજન થશે.
ભગવદ્ગીતાના અઢાર અધ્યાયના સંપૂર્ણ ગીતાપાઠના ભગવદ્ગીતા પારાયણ થશે. જેમા ૧૧૧ ભાવિકો શુદ્ધ ઉચ્ચાર સાથે સામૂહિક સંપૂર્ણ ગીતાપાઠ કરશે. પાઠ માટે ગીતાજીનું પુસ્તક સંસ્થા તરફથી આપવામાં આવશે. આ તકે ભગવદ્ગીતા ની સંગીતમય ઓડીયો સીડીનું રાહત દરે વિતરણ થશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગ્રેનાઇટમાં સુવર્ણ અક્ષરે ગુજરાતી ભાષામાં પ્રમાણિત ગીતાસાર તથા ગીતા વરદાનનું ગીતા વિદ્યાલયમાં આલેખન થયુ છે. સર્વે ભાવિકોને વિશ્વના શ્રેષ્ઠ ગ્રંથ ભગવદ્ગીતાના જન્મોત્સવમાં સહભાગી થવા ગીતા વિદ્યાલય પરિવારે હાર્દિક અનુરોધ કરેલ છે.