જીલ્લામાં કોરોનાના નિયંત્રણ માટે વહિવટી તંત્ર મિશન મોડમાં: એરપોર્ટ પર સ્ક્રીનીંગઃ માલસામાનનું સેનેટાઇઝેશન
રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના અને સંબંધિત વિભાગના કર્મચારીઓ દ્વારા સ્થાનિક લોકોમાં બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે એસ.ટી. તેમજ હવાઈ માર્ગે આવતા યાત્રિકોનું કોરોના સંબંધિત સ્ક્રીનીંગ અને સેનેટાઇઝેશનને લગતી કામગીરી દિવસ-રાત કરવામાં આવી રહી છે.
રાજકોટના એરપોર્ટ ખાતે ફલાઇટમાંથી આવતા યાત્રિકોનું સિકયુરીટી સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ,એરપોર્ટના કર્મચારીઓ દ્વારા કોરોનાના રોગચાળાનેકાબૂમાં રાખવા માટે જરૂરી સોશિયલ ડિસ્ટન્સિગ, ટેમ્પરેચર સ્ક્રિનિંગ અને માલ સામાનનુ સેનીટાઇઝડ કરવામાં આવે છે.
મુંબઈથી આવેલા પ્રવાસી શ્રી રોહિતભાઈ શર્માએ જણાવ્યું હતું કે મુંબઇ ખાતે પણ જરૂરી તપાસ કરી પુનઃ ઉતરવાના સ્થળે કોરોના અંગે નિદાન અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે જેથી કોરોના સંક્રમણ ઘટાડવાનો સરકારનો આ પ્રયાસ યોગ્ય છે.
મુંબઈના અર્નવ દાસગુપ્તા એ યાત્રિકોના મોબાઇલ અને સામાનને પણ વાયરસ જંતુમુકત કરવાની કામગીરીને સરાહનીય ગણાવી હતી. રાજકોટના કેયુર શાહે જણાવ્યું હતું કે ફલાઈટમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે ખૂબ જ સાવચેતી રાખવામાં આવે છે.
મુંબઈના યોગેશભાઇએ જણાવ્યું હતું કે આરોગ્ય સેતુ એપ્લિકેશન, જરૂરી સ્ક્રિનિંગ, ફલાઈટમાં બેસતી વખતે બે વ્યકિત વચ્ચે જગ્યા રહે તે રીતે વ્યવસ્થામાં જરૂરી સોશીયલ ડિસ્ટન્સ તેમજ આરોગ્યની તપાસ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા જિલ્લા તંત્ર દ્વારા મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.