હવે રામનાથ મંદિરનો વિકાસ આગળ ધપશેઃ બે અધિકારીઓની નિમણૂંક
આ પ્રોજેકટ યાત્રાધામ વિકાસ બોર્ડ પાસેથી મ્યુ. કોર્પોરેશનને સોંપાયુઃ ઈન્ચાર્જ સીટી ઈજનેર એચ.એમ. કોટક તથા નાયબ કાર્યપાલક ઈજનેર વી.પી. પટેલીયાને કામગીરી સોંપતા અમિત અરોરા
રાજકોટ, તા. ૨૫ :. શહેરના આસ્થાનું પ્રતીક એવા રામનાથ મહાદેવ મંદિરના બાકી વિકાસ કામો પૂર્ણ કરવાના પ્રોજેકટ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પાસેથી રાજ્ય સરકાર દ્વારા મ્યુ. કોર્પોરેશનને સોંપવામાં આવ્યું છે. હવે આ પ્રોજેકટનું કામ ઝડપી પુરૂ કરવા મ્યુ. કમિશ્નર દ્વારા બે અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
શ્રી રામનાથ મહાદેવ મંદિરના બાકી વિકાસ કામો પૂર્ણ કરવા માટે મૂળભૂત કામગીરી ઉપરાંત વધારાની કામગીરી સોંપવામાં આવી છે.
ઈન્ચાર્જ સીટી ઈજનેર એચ.એમ. કોટક, નાયબ કાર્યપાલક ઈજનેર વી.પી. પટેલીયાને રામનાથ મહાદેવ મંદિરના બાકી વિકાસ પ્રોજેકટને લગત તમામ સાહિત્ય, રેકર્ડ, ડ્રોઈંગ વિગેરે, મુખ્ય ઈજનેર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર પાસેથી મેળવી લેવાનું રહેશે તેમ મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ કરેલ હુકમમાં જણાવ્યુ છે.