રાધાકૃષ્ણનગરમાંથી રમતા-રમતા ગુમ થઇ ગયેલી બાળકીને શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
ભકિતનગર પી.આઇ. એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ એએસઆઇ એચ.એન.રાયજાદાની ટીમની કામગીરી : સીસીટીવી ફુટેજ પરથી બાળકી શોધી કાઢી
રાજકોટ : જંગલેશ્વર મેઇન રોડ પર રાધાકૃષ્ણનગરમાં રહેતી અઢી વર્ષની બાળકી આરૂષી ઘર પાસે રમતા-રમતા કયાંક જતી રહેતા તેના માતા-પિતા સહિતના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. બે કલાક સુધી બાળકીનો કોઇ પતો ન લાગતા બાળકીના પિતા કાશીનાથભાઇ શૈષનાથભાઇ પ્રજાપતિ (ઉવ.૩૦)એ તાકીદે ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતા પી.આઇ. એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના ઇન્ચાર્જ એચ.એન. રાયજાદા સહિતના સ્ટાફે તાકીદે રાધાકૃષ્ણનગર આસપાસ દુકાનોના ચીસ્તીયા ચોકમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ જોતા તેમાં બાળકી જંગલેશ્વર હુસેની ચોક તરફ ગયેલ હોવાનું જોવા મળતા તુરત જ સ્ટાફ સાથે હુસેની ચોક પાસે પહોંચતા બાળકી ત્યાં બેઠી હતી. બાદ બાળકી આરૂષીને લઇને તેના પિતા કાશીનાથભાઇ સહિતના પરિવાર સાથે મીલન કરાવતા પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સુત્ર સાર્થક કર્યું હતું. આ કામગીરી સર્વેલન્સ સ્કવોડના ઇન્ચાર્જ એચ.એન.રાયજાદા, હેડ કોન્સ. દિલીપભાઇ, સંજયભાઇ, કોન્સ. રાજદીયસિંહ,પુષ્પરાજસિંહ, વિશાલભાઇ, અરવિંદભાઇ, મનીષભાઇ તથા પૂર્વિકાબેન ગોંડલીયા દ્વારા કરવામાં આવી હતી.