રાજકોટમાં આજે એક મોતઃ નવા ૧૮ કેસ
કોરોનાએ ફરી માથુ ઉંચકયુઃ સાવચેતી જરૂરી : આજ દિન સુધીમાં ૧૬ હજાર શહેરીજનો કોરોનાની ઝપટે ચડયાઃ ૧૫,૭૨૧ લોકોએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૮.૦૪ ટકા થયો
રાજકોટ, તા.૨૬: વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં આજે એક મૃત્યુ થયું છે. જયારે બપોર સુધીમાં ૧૮ કેસ નોંધાયા છે.આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૫નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૬ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું.
કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૪૮૫ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.
બપોર સુધીમાં ૧૮ કેસ
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૦૫૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૭૨૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૮.૦૪ ટકા રિકવરી રેટ થયો છે.ગઇકાલે કુલ ૧૨૭૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૨૨ ટકા થયો હતો. જયારે ૩૫ દર્દીઓે સાજા થયા હતા.જયારે આજ દિન સુધીમાં ૫,૯૨,૮૨૬ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૭૨૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૦ ટકા થયો છે.