વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે રાજકોટ એસટી ડિવીઝનની ૧૧૦ સહિત કુલ ૩૦૦ બસ બૂકઃ સંખ્યાબંધ રૂટો રદ
બસો બૂક થતા સૌરાષ્ટ્ર-ગુજરાતની લાંબા અંતરની બસો રૂટોને શનિ-રવિ ગંભીર અસર થશે : રાજકોટમાં પ્રાયવેટ પાર્ટીએ ડીપોઝીટ પેટે ૧૧ાા લાખ ભરી દીધાઃ અન્ય જીલ્લાની બસો મંગાવાઇ
રાજકોટ તા. ર૬ : શનિવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આટકોટ ખાતે આવી રહ્યા હોય, લોકોને લાવવા-લઇ જવા માટે ભારે દોડધામ થઇ રહી છે, ભાજપ પ્રદેશ પ્રમુખે રાા થી ૩ લાખની મેદનીનો ટાર્ગેટ આપ્યા બાદ ભાજપ સત્તાવાળાઓ ધંધે લાગી ગયા છે.
દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે રાજકોટ એસટીની૧૧૦ સહિત અન્ય જીલ્લા - ડીવીઝનની ર૮મીએ કુલ ૩૦૦ બસ બૂક થઇ છે, અને તેના પરીણામે સૌરાષ્ટ્ર-ગુજરાતની લાંબા અંતરની બસો-રૂટોને ગંભીર અસર થશે, સંખ્યાબંધ રૂટો રદ થનાર હોય સેંકડો મુસાફરો હેરાન-પરેશાન થઇ જશે, ભારે દેકારો બોલી જશે. રાજકોટની જે ૧૧૦ બસો બૂક થઇ તેમાં પ્રાયવેટ પાર્ટીએ રૂપિયા સાડા અગીયાર લાખ (૧૧ાા) ભરી દીધાનું ડીવીઝનલ કન્ટ્રોલર શ્રી કલોતરાએ ‘અકિલા' ને જણાવ્યું હતું, પોરબંદર-ભાવનગર-જુનાગઢ સહિતના જીલ્લાની બસો મંગાવાઇ છે.