રૈયાના શાંતિનગરમાં પતારીયો અને તેના પરિવારજનોએ અશાંતિ સર્જી: પડોશી પર હુમલો કર્યો: પોલીસ પકડવા જતા પીસીઆર વેન પર ધોકા ફટકારી તોડફોડ કરી: મારામારી ફરજમાં રૂકાવટની ફરિયાદો
રાજકોટઃ રૈયા ગામ શાંતિનગરમાં શનિવારે સાંજે પતારીયો નામના શખ્સ અને તેના પરિવારજનોએ ધમાલ મચાવી હતી. પોલીસ પકડવા જતા પીસીઆર વેનમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં બે ફરિયાદ દાખલ થઈ છે.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ. અજીતસિંહ હેમુભા પરમારની ફરિયાદ પરથી (૧) પતારીયો (૨) વનરાજ (૩) પતારીયાની પત્નિ તથા (૪) પતારીયાની માતા વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
વનરાજ અને પતારીયો પડોશી સાથે માથાકૂટ કરતા હોઇ કોન્સ. અજીતસિંહ પીસીઆર સાથે પહોંચતા અને ગાડીમાં બંનેને બેસી જવાનું કહેતા આ બંનેએ પીસીઆર વેનમાં બોનેટ પર ધોકા મારી ૫૦૦૦નું નુકસાન કર્યું હતું. પતારીયાની પત્ની, માતાએ બંનેને પોલીસની ગાડીમાં બેસતા અટકાવ્યા હતા અને ફરજમાં રુકાવટ કરી હતી.
પોલીસે બીજા બનાવમાં ભરત લાલજીભાઇ સાડમીયા (ઉ.વ-૩૦ ધંધો- મજુરીકામ રહે: રૈયાગામ શાંતીનગર)ની ફરિયાદ પરથી પતારીયો અને વનરાજ વિરુદ્ધ ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ નોંધ્યો છે. આ બંનેએ ભરતને ગાળો આપી લાકડાના ધોકા વડે જમણા હાથમા ઇજા કરી ફ્રેકચર કરી તેમજ પગના ભાગે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીએસઆઇ ડી.વી. બાલાસરા, હેડકોન્સ. એ.ડી. અવાડીયા અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.