ઇદે મીલાદ પણ રવિવારે
થોડા સમય પહેલાં ઇદુલ અદહા રવિવારે ઉજવાયા બાદ હવે આવતીકાલે ચંદ્ર દર્શનઃ કાલથી સર્વત્ર ૧ર વાઅઝ શરૂ થશે
રાજકોટ તા. ર૬ :.. ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મ દિવસ ‘‘ઇદે મીલાદ'' સ્વરૂપે દર વર્ષે ઉજવવામાં આવે છે આ તહેવાર આ વખતે ૯મી ઓકટોબરના ઉજવાશે આ દિવસે રવિવાર છે. થોડા સમય પહેલાં ગત તા. ૧૦-૭-રર ના રોજ ઇદુલ અદહા ઉજવાઇ હતી જે દિવસે રવિવાર હતો ત્યારે ફરી તુર્ત જ મુસ્લિમોની સૌથી મોટી ઇદ અને પયગમ્બર જયંતિ ફરી રવિવારે ઉજવાશે.
આજે સફર માસની ર૮ મી તારીખ છે અને કાલે ર૯મી તારીખે સાંજે આકાશમાં ચંદ્ર દર્શનની પુર્ણ સંભાવના હોય બુધવારથી રબીઉલ અવ્વલ માસનો પ્રારંભ થશે જેની ૧ર મી તારીખે ઇદે મીલાદ ઉજવવાતી હોય છે.
બીજી તરફ જો કાલે ચંદ્ર દર્શન થાય તો કાલ રાત્રીથી જ સર્વત્ર ગામે ગામ, લતે લતે ૧ર દિ'ના વાઅઝના કાર્યક્રમનો પ્રારંભ થઇ જશે જેની પૂર્વ તૈયારીઓ થઇ હોવાનું જાણવા મળે છે અને ઇદે મીલાદના આગમનથી પોતાના પૈગમ્બર સાહેબના જન્મ દિવસને વધાવવા મુસ્લિમ સમાજમાં ઉત્સાહ વ્યાપેલો છે.