ચટણી - પાંઉ - રગડાનો મસાલો સહિત કુલ ૩૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
લાખાજીરાજ રોડ પર મનપાની ફૂડ શાખાનું ચેકીંગ : રામભાઇ રગડાવાળા અને ડે-નાઇટ ફાસ્ટ ફૂડમાંથી વાસી ચીજોનો જથ્થો ઝડપાયો : ૨૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ ૭ને સુચના : ડ્રીંકીંગ વોટરના નમૂના લેવાયા
રાજકોટ તા. ૨૭ : મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લાખાજીરાજ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોના કુલ ૨૦ ખાણીપીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન બે સ્થળોએથી કુલ ૩૨ કિ.ગ્રા. વાસી / અખાધ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવેલ અને ૭ પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. જ્યારે ડ્રીકીંગ વોટરના બે નમૂના લેવામાં આવ્યા છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ વિભાગ દ્વારા શહેરના લાખજીરાજ રોડ વિસ્તારમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન રામભાઇ રગડાવાળામાંથીᅠ - ૩ કિ.ગ્રા. વાસી લાલ ચટણી, ૨ કિ.ગ્રા. લીલી ચટણી, અને ૧૫ કિ.ગ્રા. રગડાનો મસાલો તથા ડે નાઈટ ફાસ્ટફૂડમાંથી ૩ કિ.ગ્રા. વાસી બટાટા, ૨ કિ.ગ્રા. વાસી પાઉં તથા ૭ કિ.ગ્રા. વાસી ચીપ્સનો સ્થળ પર નાશ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ બિસ્વિન વિથ એડેડ મિનરલ્સ પેકેજડ ડ્રિંકિંગ વોટર (૧ લિટર પેક્ડ પેટ બોટલ)- બીસ્વીડન બીવરેજીસ, મવડી મેઈન રોડ, બ્રીજની બાજુમાં, વૈદવાડી-૪, નાગરિક બેંકની સામેથી તથા બિસ્ટાર પેકેજડ ડ્રિન્કિંગ વોટર વિથ એડેડ મિનરલ્સ (૫૦૦ એમએલ પેક્ડ બોટલ) -મેક્સ બેવરેજિસ, મારૂતિ કૃપા, લક્ષ્મીનગર મેઈન રોડ, મહાદેવવાડી મેઈન રોડ સહિત બે નમૂના લેવામાં આવ્યા છે.