ચેક પાછો ફરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત
રાજકોટ તા. ર૭ : ચેક રીટર્નના કેસમાં આરોપીને નીર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી રમેશભાઇ ખીમાભાઇ પરમાર આર.કે. કન્સ્ટ્રકશનના નામથી ચાલતી પેઢીના પ્રોપરાઇટર છે તેઓએ આરોપી રમેશભાઇ ચોવટીયાને વીરમગામ-જાસકી-અશોક નગરના અંદાજીત રોડ કિ.મી.૧૪-૮૦૦ નો રોડ બનાવવા અંગેની કામગીરી આપેલ. આરોપી રમેશભાઇ ચોવટીયાએ ફરીયાદી રમેશભાઇ પરમારની શાખ ઉપર રૂા. ૧૬,૦૦,૦૦૦ ની કિંમતના માલીની ઉધારીમાં ખરીદી કરેલ. રમેશભાઇ ચોવટીયાએ તે માલની કિંમત પૈકી રૂા. ૧૦,૮પ,૦૦૦ પુરા ચુકવવા માટે ફરીયાદીને ચેક આપેલ. જે ચેક ફરીયાદીએ બેંકમાં રજુ કરતા ચેક રીટર્ન થયેલ, જે અંગે ફરીયાદીએ તેમના વકીલ મારફત નોટીસ આપેલ, નોટીસ બજી જવા છતા આરોપીએ ફરીયાદીને ચેક મુજબની રકમ નહી ચુકવતા ફરીયાદી રમેશભાઇ પરમારે રાજકોટની અદાલતમાં આરોપી રમેશભાઇ ચોવટીયા વિરૂધ્ધ ચેક રિટર્ન અંગેની ફરીયાદ દાખલ કરેલ હતી.
આ કેસ પુરાવા પર આવતા ફરીયાદી તથા ફરીયાદીના સાહેદોને તપાસવામાં આવેલ કેસ પુર્ણ થતા આરોપીનુ વીશેષ નીવેદન લેવામાં આવેલ બચાવ પક્ષ તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે ફરીયાદી જે બીલો પર આધાર પુરાવા રજુ કરેલ નથી. તેમજ ફરીયાદીએ ચેક છળકપટથી મેળવેલ છે. આરોપી પાસેથી ફરીયાદીનું કાયદેસરનું લેણું નિકળતુ હોય તે સાબિત કરવામાં ફરીયાદી નિષ્ફળ રહેલ છે ફરીયાદી તેની ફરીયાદમાંની હકિકત સાબિત કરવામાં સફળ રહેલ નથી વધુમાં રજુઆત કરેલ કે ચેક કાયદેસરની જવાબદારી ઉત્પન્ન કર્યા વિનાનો હોય તેથી આરોપીની કોઇ જવાબદારી બનતી નથી. આરોપીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ લેખીત તથા મૌખીક દલીલો તથા રજુ રાખેલ. હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી રમેશભાઇ ચોવટીયાને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના આક્ષેપમાંથી નામ. કોર્ટે નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આ કેસમાં આરોપી રમેશભાઇ ચોવટીયા તરફે એડવોકેટ ચેતન આર.ચભાડીયા રોકાયેલ હતા તથા મદદગારીમાં હર્ષીત એન. રોલા રોકાયેલ હતા.