નવા થોરાળામાં મકાન માલીકના ૩ સગાએ ઘરમાં ઘૂસી પરિણીતાની છેડતી કરી
પરિણીતાની વિશાલ, નીતિન અને જીગર સામે થોરાળા પોલીસમાં ફરીયાદ
રાજકોટ, તા. ર૭ : શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતી પરિણીતાને મકાન માલીકના ત્રણ સગાએ ઘરમાં ઘુસી અભદ્ર વર્તન કરી જાતીય માંગણી કરી છેડતી કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું છે કે થોડા સમય પહેલાની આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા છીએ. પોતે પણ પતિને આર્થિક મદદરૂપ થવા મજુરીકામ કરે છે. રવીવારે રાત્રે પોતે અને પુત્ર ઘરે હતા ત્યારે મકાન માલીકના સગા વિશાલ નીતિન અને જીગર ઘરમાં ઘુસી આવ્યા હતા અને ‘તારી જોડે અમારે વાત કરવી છે, તારા મોબાઇલ નંબર આપ , જેથી ‘હું તેવી નથી, તમે બધા ઘરની બહાર નીકળો' તેમ કહી ઠપકો આપ્યો હતો. ત્યારે ત્રણેય શખ્સોએ પોતાની સાથે બોલાચાલી કરી ‘તુ ધંધો કરે છે કેટલા રૂપિયા લઇશ, તુ કહે એટલા રૂપિયા આપીશુ' તેમ કહી અભદ્ર વર્તન કરતા પોતે આ ત્રણેય શખ્સોને ઘરની બહાર નીકળવાનું કેહતા તેમને પોતાની સાથે ઝઘડો કરી તમાચા મારી દીધા હતા. દેકારો બોલતા મકાન માલીકની માતા ઘરમાં આવ્યા હતા અને આ ત્રણેય મારા જેઠના દિકરા ે છે. તુ એમની સાથે માથાકુટ ન કરતી તેમ કહી પોતાને સાઇડમાં લઇ ગયા હતા. બાદ ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. બાદ પોતે પતિને ફોન કરતા તે ઘરે દોડી આવ્યા હતા અને હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. પોલીસની ટીમ ઘરે આવી ગયા બાદ પોતે તેની સાથે થોરાળા પોલીસ મથકે આવી ત્રણેય શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. પી.એન. ત્રિવેદી એ તપાસ આદરી છે.