જુગાર ધારાના ગુનામાં પકડાયેલ છ આરોપીઓનો નિર્દોષ છુટકારો
રાજકોટ, તા. ર૮ : જુગારધારાના કેસમાં છ આરોપીનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.
આ કેસની હકિકત એવી છે કે, તા. ૧૯-૧૦-ર૦ ના મેહુલનગર શેરી નં. ૧૦ ખાતે સુનીલભાઇ નગીનભાઇ કેશરીયા પોતાના કબજા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે તીનપતીનો જુગાર રમાડે છે તેવી બાતમી મળતા ભકિતનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા સદરહું જગ્યાએ રેડ પાડતા કુલ છ ઇસમો જુગાર રમતા મળી આવેલ જેમાં (૧) સુનીલભાઇ નગીનભાઇ કેશરીયા (ર) અનિલભાઇ પ્રભુદાસ ઓડેદરા (૩) રાકેશભાઇ હિમ્મતલાલ પારેખ (૪) રજનીકાંત લક્ષ્મણભાઇ કોરાટ (પ) દિનેશ ચંદુલાલ જરીયા તથા (૬) ખેતશીભાઇ ખોડાભાઇ વાવેસાની ધરપકડ કરવામાં આવેલ હતી. અને તેઓ વિરૂદ્ધ જુગારધારાની કલમ ૪,પ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ હતો. ત્યારબાદ તપાસનીશ અધિકારી દ્વારા પુરતો પુરાવો હોય આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતું. સદરહું કેસ કોર્ટમાં ચાલવા પર આવતા ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંક સાબિત કરી શકેલ નહી, પંચોએ બનાવને સમર્થન આપેલ નહી તેમજ આરોપીઓના વકીલશ્રી અશોક બી. ચાંડપાની રજુઆતને માન્ય રાખી કોર્ટ દ્વારા તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો કરતો હુકમ ફરમાવેલ છે.
આ કામે આરોપીઓવતી રાજકોટના વકીલશ્રી અશોક બી. ચાંડપા મગન મેવાસિયા તથા હાર્દિક જીવાણી રોકાયેલ હતા.