રેલનગર અવધ પાર્કમાં સફાઇ કામદાર સંજય રાઠોડનો ફાંસો ખાઇ આપઘાત
નોકરીએ જવા પ્રશ્ને માતાએ ઠપકો આપતાં માઠુ લાગ્યું
રાજકોટ તા. ૨૮: રેલનગર અવધ પાર્ક-૪ પાણીના ટાંકા પાસે રહેતાં સંજય દિનેશભાઇ રાઠોડ (વાલ્મિકી) (ઉ.વ.૩૬) નામના યુવાને સવારે પોતાના રૂમમાં પંખામાં પનીયું બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર સંજય બે ભાઇ અને એક બહેનમાં બીજો હતો. તેના લગ્ન થયા હતાં અને સંતાનમાં એક પુત્ર છે. જો કે ત્રણેક વર્ષ પહેલા તેણે પત્નિથી છુટાછેડા લીધા હતાં. તે મહાનગર પાલિકા વોર્ડ ૨-કમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ નોકરીએ જવા બાબતે માતા પાર્વતીબેને ઠપકો આપતાં માઠુ લાગતાં તેણે આ પગલુ ભરી લીધું હતું.
સવારે માતા તેને નોકરી પર જવાનું હોઇ જગાડવા જતાં રૂમ ન ખોલતાં તપાસ કરતાં તેણે આપઘાત કરી લીધાનું જણાતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.