શિક્ષીકા ઉપરના બળાત્કારના કેસમાં દવાના વેપારીની ધરપકડ સામે સુપ્રિમ કોર્ટનો સ્ટે
રાજકોટ, તા. ર૮ : રાજકોટની શિક્ષિકા ઉપરના બળાત્કારની ફરિયાદ રદ કરવાની સ્પેશિયલ લીવ પિટિશન ક્રિમિનલ માં સુપ્રીમ કોર્ટનો આરોપીની તરફેણમાં હસ્તક્ષેપ, ધરપકડ સામે સ્ટે. આપેલ છે.
આ અંગેની વિગત એવી છે કે આરોપી દિવ્યેશ નટવરલાલ જાટકાંયા, કાલાવડ રોડ ઉપર આવેલ રવિ પાર્ક સોસાયટી, પ્રેમ મંદિર પાછળ રહે છે અને દવા નો હોલસેલ નો વેપાર કરે છે. જયારે ફરિયાદી અહીંના કાલાવડ રોડ ઉપર આવેલ એક ખાનગી શાળામાં ફરજ બજાવતી અનુસૂચિત જાતિની શિક્ષિકા છે. આરોપીના બંને બાળકો ભોગ બનનાર શિક્ષિકાના કલાસમાં ભણતા હોય, આરોપી તેના બાળકોને સ્કૂલે મૂકવા જતો હોય, શિક્ષિકા સાથે પરિચય થતાં બંને એકબીજાની ઘરે આવ જા કરતા હતા અને તેઓ વચ્ચે પારિવારિક સંબંધો બંધાયેલા. ત્યાર બાદ આરોપીએ પોતે, પોતાની પત્નીથી છુટાછેડા લીધેલ ન હોવા છતાં શિક્ષિકાને એવું જણા વેલ કે, તેણે પોતાની પત્નીથી છટાછેડા લીધેલા છે અને લગ્ન કરવાની લાલચ આપી બળજબરીપૂર્વક પોતાની ઓફિસે લઇ જઇ તથા શિક્ષિકાની ઘરે જઇ તેણી ઉપર અવારનવાર બળાત્કાર ગૂજારેલ હતો.
આ બનાવ અંગે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી તથા એટ્રોસિટી એકટ મુજબની ફરિયાદ નોંધાયેલ, જેના અનુસંધાને આરોપી દિવ્યેશ નટવરલાલ જાટકીયાએ પોતાની સામેની ફરિયાદ ખોટી હોય ગુજરાત હાઇકોર્ટમાં એફ.આઇ.આર. રદ કરવા કવોશિંગ પિટિશન દાખલ કરતાં તે પિટિશનના અનુસંધાને કરવામાં આવેલ દલીલ તથા ઓડિયો રેકોર્ડિંગ ધ્યાને લઇ હાઈકોર્ટે પિટિશનના કામે નોટિસ કરીને આરોપીની ધરપકડ સામે તારીખ ૨૯-૪-૨૦૨૦ ના રોજ સ્ટે આપેલ. ત્યારબાદ તે કવોશીંગ પીટીશન ગુજરાત હાઈકોર્ટમાં ચાલી જતા ગુજરાત હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલ જેમા તારીખ ૨૭-૮-૨૦૨૦ ના રોજ સુપ્રીમ કાર્ટ સ્પેશિયલ લીવ પિટિશન ના કામે, નોટીસ કરી આરોપી દિવ્યેશ નટવરલાલ જાટકિયા ની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સ્ટે આપવામાં આવેલ છે.
આ કામે આરોપી વતી સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ સંદીપ આર. લીંબાણ તથા બ્રિફિંગ એડવોકેટ તરીકે રાજકોટના એડવોકેટ નિલેશ સી. ગણાત્રા, આદિલ એ. માથકિયા તથા અમિત એમ. મેવાડા રોકાયેલા હતા.