રાજકોટ
News of Friday, 28th August 2020

જેતપુર સંઘના આજીવન પ્રમુખ વિનુભાઈ કામાણીને રોયલપાર્ક સ્થા.જૈન મોટા-સી.એમ.શેઠ પૌષધશાળા દ્વારા શ્રધ્ધાંજલિ-ભાવાંજલિ

રાજકોટ,તા. ૨૮: જેતપુર બોઘાભાઈ સ્થા. જૈન સંઘના સેવાભાવી પૂર્વ પ્રમુખ શ્રી વિનુભાઈ કામાણીનું તા.૨૭ના રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને ચિર શાંતિ અને સમાધિ પ્રદાન કરે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. વર્ષોથી જેતપુર સંઘમાં પ્રમુખ તરીકે સેવા પ્રદાન કરી છે. જીવદયા સહિત દરેક ક્ષેત્રે તેઓએ સેવા પ્રદાન કરી છે. સ્થાનકવાસી જૈન સમુદાયના ધૂરંધર પૂ.સંત - સતિજીઓને જેતપુર ચાતુર્માસ કરાવવામાં તેઓનું મહામૂલુ અને અનેરૂ યોગદાન હતું. વિનુભાઈએ પોતાના સંતાનો અને કુટુંબીજનોને પણ ધર્મના સુસંસ્કારોનું સિંચન કરેલું. તેઓ આદર્શ સુશ્રાવક હતા. સેવાભાવી વિનુભાઈ કામાણીના દેહવિલયથી માત્ર જેતપુર સંઘને જ નહિ પરંતુ સમસ્ત જૈન સમાજને બહુ મોટી ખોટ પડી છે.

શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા-સી.એમ.શેઠ પૌષધશાળા સંઘએ વિનુભાઈ કામાણીને શ્રધ્ધાંજલિ-ભાવાંજલિ અર્પણ કરી તેમજ રાજકોટ જૈન સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠે ભાવભરી શ્રધ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, વિનુભાઈ કામાણીની સેવા ચિરઃસ્મરણીય રહેશે. ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરૂભગવંતો તથા મહાસતિજીઓએ ભાવાંજલિ આપેલ છે.

(3:01 pm IST)