નાના મૌવા ઓવરબ્રીજને સ્વ.મનોહરસિંહજી જાડેજા તથા લક્ષ્મીનગર અન્ડરબ્રીજને મહાત્મા જયોતિબા ફુલે નામકરણ કરોઃ કોંગ્રેસ
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી, વિરોધ પક્ષના નેતા ભાનુબેન તથા મહેશભાઇ રાજપૂત દ્વારા રજુઆત
રાજકોટ,તા.૨૮: શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં નવનિર્માણ પામનાર નાનામૌવા સર્કલ ઓવરબ્રિજ નું કામ પૂર્ણ થયે આ બ્રીજનું નામ રાજકોટ ના રાજવી અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ કેબીનેટ મંત્રી અને રાજકોટના ભૂતપૂર્વ ધારાસભ્ય 'સ્વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા' નું નામકરણ કરવામાં આવે તેમજ રાજકોટ શહેરના લક્ષ્મીનગર અન્ડરબ્રીજ નું નામ 'મહાત્મા જયોતિબા ફૂલે'નું નામકરણ કરવા રજૂઆત કરી હતી.
કોંગ્રેસ અગ્રણીઓએ મ્યુ.કોપો.ના તંત્રવાહકોને રજુઆતમાં જણાવેલ કે, રાજકોટના રાજવીનું રાજકોટમાં નામ હોવું તેવી માંગ પહેલા પણ ઉઠેલી હતી અને એજ માંગ અમો આજે ફરીથી કરી રહ્યા છીએ જેને પોતાની પૂરી જિંદગી લોક સેવામાં આપેલી હોય અને જે પરિવારે આ શહેર વસાવ્યું હોય ત્યારે ફરજ છે તેની યાદગીરી રૂપે તેઓશ્રીનું નામ રાખવું જોઈએ. તેમ રજૂઆતના અંતમાં જણાવ્યું હતું.