રાજકોટ
News of Wednesday, 28th September 2022

૨૯ સપ્‍ટેમ્‍બર વર્લ્‍ડ હાર્ટ ડે

શુધ્‍ધ આહાર બરાબર સ્‍વસ્‍થ હૃદય

દર વર્ષે ૨૯ સપ્‍ટેમ્‍બરે વર્લ્‍ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે. હૃદયનાં સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત સૌથી પહેલા વર્ષ ૨૦૦૦માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્‍યુ હતું કે દર વર્ષે વિશ્વ હાર્ટ દિવસ સપ્‍ટેમ્‍બર મહિનાનાં છેલ્લા રવિવારે મનાવવામાં આવશે પરંતુ વર્ષ ૨૦૧૪માં આ ખાસ દિવસ મનાવવા માટે ૨૯ સપ્‍ટેમ્‍બરની તારીખ નક્કી કરી દેવામાં આવી હતી. હૃદય માણસનાં શરીરનો ખૂબ જ મહત્‍વપૂર્ણ ભાગ છે અને સર્વેને તેના સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે જાગૃત રહેવાની જરૂર છે. હાલના સમયમાં યુવાનોના પણ હાર્ટ એટેકની સમસ્‍યા આવવા લાગી છે. કોરોના મહામારી દરમિયાન હૃદયના દર્દીઓની સંખ્‍યામાં પણ વધારો થયો છે. તેનું મૂળ કારણ ખોટા આહાર અને સારી જીવનશૈલીને અપનાવી ન શકવાનું છે. હૃદયને સ્‍વસ્‍થ રાખવા દિનચર્યામાં જરૂરી એવા ફેરફાર કરવા જોઇએ. મોડી રાત સુધી જાગીને વધુ ગેજે્‌ટસનો ઉપયોગ કરવો એ સ્‍વાસ્‍થ્‍ય માટે હાનિકારક છે, સ્‍વસ્‍થ જીવનશૈલી અપનાવવા દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવા જોઇએ. લો-કાર્બન અને ઓછો ચરબીયુકત ખોરાક લેવો જોઇએ. મીઠુ, ખાંડવાળી વસ્‍તુઓ ઓછી ખાવી જોઇએ. સાંજે ૮ પછી કંઇ ખાવું ન જોઇએ. વધારે પ્રોટીન અને ફાઇબરથી ભરપુર ખોરાક અનાજ, કઠોળ લેવા જોઇએ. દરરોજ કસરત, પ્રાણાયમ કરવા જોઇએ. દરરોજ ઓછામાં ઓછી ૪૦ મિનિટ માટે ચાલવાની અથવા સાયકલ ચલાવવાની આદત પાડવી જોઇએ. સ્‍વિમિંગ કરવાથી પણ સારી કસરત થાય છે. આલ્‍કોહોલનું સેવન ટાળવું જોઇએ. શાકાહાર અપનાવવું જોઇએ. ભોજનમાં ફળ અને સલાડને સામેલ કરવું જોઇએ, શુધ્‍ધ આહાર બરાબર સ્‍વસ્‍થ હૃદય(૪૦.૮)

 મિતલ ખેતાણી

(મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)

(3:52 pm IST)