રાજકોટ
News of Saturday, 28th November 2020

કુવાડવા રોડ પારૂલ બગીચામાં પનીર-લસણના ધંધાર્થી રોહન પર આકાશ ઉર્ફ મરચાનો હુમલો

ઉછીના રૂ. ૫૦૦૦ ન દેતાં આકાશ, બંદૂક અને સુરાએ હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ ઠાકર દ્વાર-૧માં રહેતાં અને પિતા સાથે પનીર તથા ફોલેલા લસણનો ધંધો કરતાં રોહન સુરેશભાઇ રૈયાણી (ઉ.વ.૨૪)ને રાતે ધંધાના સ્થળે આશ્રમ રોડ સામે પારૂલ બગીચા પાસે હતો ત્યારે આકાશ ઉર્ફ મરચો, તેની સાથેના બંદૂક અને સુરા નામના શખ્સોએ ઝઘડો કરી છરીથી ઇજા કરી તેમજ ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના હેડકોન્સ. રણછોડભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

રોહનના કહેવા મુજબ હું બગીચા પાસે ઉભા રહેતાં ચાઇનીઝ-પંજાબીના ધંધાર્થીઓને પનીર, લસણ સહિતનો માલ પુરો પાડુ છું. રાતે પૈસાની ઉઘરાણી માટે ગયેલો ત્યારે જુના પરિચીત આકાશ ઉર્ફ મરચાએ ફોન કરી કયાં છો? પુછતાં મેં તેને બગીચામાં હોવાનું કહેતાં તેના સહિત ત્રણ જણા આવ્યા હતા. મારી પાસે તેણે પાંચ હજાર ઉછીના માંગતા મેં પૈસા નથી તેમ કહી ના પાડતાં હુમલો કરાયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)