ગોકુલ હોસ્પિટલના ડો.તેજસ કરમટાની બપોરે ૧ વાગ્યાથી સર્કિટ હાઉસ ખાતે તપાસ કમીટી દ્વારા ફરી પૂછપરછનો દોર
ડો. તેજસ કરમટાએ અકિલાને જણાવેલ કે અમે તમામ નિયમોનું પાલન કર્યુ છે : ઈલેકટ્રીક અથવા ઈલેકટ્રોનિક ડેઝેટને કારણે આગ લાગી હોય એવુ બની શકે
રાજકોટ, તા. ૨૮ : આગની ઘટના અંગે રાજકોટ આવેલા તપાસનીશ અધિકારી શ્રી એ.કે.રાકેશ અને અન્ય અધિકારીઓએ આજે બપોરે ૧ વાગ્યાથી ગોકુલ હોસ્પિટલના ડો.તેજસ કરમટા અને અન્ય જવાબદાર સ્ટાફની પૂછપરછનો દોર આરંભ્યો છે અને તેમાં હોસ્પિટલોમાં નિયમોનું પાલન છે કે કેમ જીઈબી કનેકશન, કેટલો સ્ટાફ, આગ લાગી ત્યારે શું કર્યુ વગેરે તમામ બાબતો આવરી લેવાઈ છે.
દરમિયાન સર્કિટ હાઉસ ખાતે પૂછપરછ થાય એ પહેલા ગોકુલ હોસ્પિટલના ડો.તેજસ કરમટાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે જયાં આગ લાગી તે શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આઈસીયુ બિલ્ડીંગ હતુ અને તેમાં પહેલેથી જ આઈસીયુનો વોર્ડ આવેલ છે. તે શિવાનંદ હોસ્પિટલ તે ગોકુલ હોસ્પિટલે હાયર કરેલ છે. તેમણે જણાવેલ કે અમે તમામ નિયમોનું પાલન કર્યુ છે. કોઈ નિયમોનું ઉલ્લંઘન થયુ નથી. કોઈપણ ઈલેકટ્રોનિક સાધન તથા ઈલેકટ્રીક ડેઝેટથી આગ લાગી હોય તેવુ લાગી રહ્યુ છે.
આગ લાગી ત્યારે સેનેટાઈઝર કેટલુ હતું તે પ્રશ્નના જવાબમાં જણાવેલ કે દરેક ખાટલે સેનેટાઈઝર હોય છે. તે સેનેટાઈઝર કર્યા બાદ તેની ફયુમ હવામાં રહેતી હોય છે. આગ પ્રસરી તેમાં સેનેટાઈઝર કારણભૂત છે કે કેમ તે તપાસ બાદ બહાર આવશે.
તેમણે જણાવેલ કે ગ્રાઉન્ડ ફલોરમાં આગ લાગી જ નથી. ધુમાડો હતો તેના કારણે અધિકારીઓને એવુ લાગતુ હતુ કે ગ્રાઉન્ડ ફલોરમાં આગ લાગી છે, પરંતુ આગ ગ્રાઉન્ડ ફલોરમાં લાગી જ નથી. જે વ્યકિતઓના જીવ ગયા છે તે ધુમાડો અને ગુંગડામણને કારણે તેમના જીવ ગયા છે. આઈસીયુમાં વેન્ટીલેટર, એલએનટી, હેમીલ્ટન અને ધમણ આ ત્રણેય કંપનીના હતા.
ઓકિસજન લીક થયુ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ તે બાબતમાં જણાવેલ કે ઓકિસજન કયાંયથી લીક થયુ તે કયાંયથી બહાર આવ્યુ નથી આમ છતા તપાસ થઈ રહી છે.