શુક્રવારે સંતશ્રી વેલનાથ જન્મજયંતિ ઉત્સવઃ શોભાયાત્રા નિકળશે
શ્રી ચુંવાળીયા કોળી (ઠાકોર) વિદ્યાર્થી ભુવન અને બોર્ડિંગ- રાજકોટ દ્વારા આયોજન : શ્રી વેલનાથદાદાના મુખ્ય રથ સાથે સાંસ્કૃતિક ફલોટસ સહિત ટૂ- ફોર વ્હીલર જોડાશેઃ શોભાયાત્રાનો કિસાનપરા ચોક ખાતેથી પ્રારંભ, અટલ બિહારી બાજપાઈ હોલ ખાતે સમાપનઃ સંતો- મહંતો- રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ
રાજકોટઃ શ્રી ચુંવાળીયા કોળી (ઠાકોર) વિદ્યાર્થી ભુવન અને બોર્ડીગ- રાજકોટ દ્વારા સંતશ્રી વેલનાથ જન્મ જયંતિ ઉત્સવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન આગામી તા.૧ જુલાઈના શુક્રવાર રોજ કરવામાં આવેલ છે. આ શોભાયાત્રાનો કિશાનપરા ચોક ખાતેથી સવારે ૮ વાગ્યે પ્રસ્થાન થઈ પેડક રોડ અટલ બિહારી બાઈજપાઈ હોલ પુર્ણ થશે.
આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે સમિતી તથા આગેવાનો દ્વારા તડામાર તૈયારી છેલ્લા દોઢ મહિનાથી રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં સભાઓ તથા આમંત્રણરથનું આયોજન કરેલ હતું.
આ શોભાયાત્રામા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક ફલોટસ, ૧૫૦ ઉપરાંત શણગારેલી કાર, ટ્રક, ટ્રેકટર, ૫૧બુલેટ તેમજ ૩૫૦ ઉપરાંત બાઈક સાથે ડીજેના સથવારે સમાજના નામાંકિત ગાયક કલાકારો દ્વારા ફલોટસમાં ભજનો, મહિલા મંડળો દ્વારા ધુન- ભજન, સંતો વેલનાથ મંડળોની રાસમંડળી, વિવિધ પ્રકારની વેશભુષાથી આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દરેક સમાજના આગેવાનો દ્વારા રાજમાર્ગો પર ડોમ બનાવીને આ શોભાયાત્રાનું સ્વાગત કરશે.
આ શોભાયાત્રામાં મુખ્ય ફલોટસમાં આગેવાનો દ્વારા સાકર, પતાસા, ચોકલેટ અને સીંગદાણાનો પ્રસાદ વિતરણ થશે તથા શોભાયાત્રાના રૂટ પર સરબત, લીંબુપાણી, છાસ- પાણી અને શોભયાત્રાની પુર્ણાહુતી અટલબિહારી બાજપાઈ હોલ પાસે પ્રસાદનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સમાજના સંતશ્રી રામદાસબાપુ, સંતશ્રી સાયનાથ બાપુ, ભગતશ્રી મનુભાઈ ઘેણોજા, ભગતશ્રી વાઘજીભાઈ સિતાપરા, સંતી નિર્મળદાસજી સ્વામી તેમજ ડો.મહેન્દ્ર મુજપરા (કેન્દ્રયમંત્રી), ધર્મેશભાઈ જંજવાડીયા (ચુંવાળીયા કોળી સમાજ પ્રમુખ- ગુજરાત), જગદિશભાઈ ઠાકોર (ગુજરાત કોંગ્રેસ- પ્રમુખ), પરસોતમભાઈ સાબરીયા (ધારાસભ્ય- હળવદ), બાબુભાઈ ઉધરેજા (કોર્પોરેટર), નયનાબેન બી.બાળોન્દ્રા (દંડક જીલ્લા પંચાયત રાજકોટ), કંકુબેન ઉધરેજા (કોર્પોરેટર), દિનેશભાઈ મકવાણા, વિરજીભાઈ સનુરા, દેવજીભાઈ ફતેપરા, કુંવરજીભાઈ બાવળીયા (પુર્વ કેબીનેટ મંત્રી), અલ્પેશભાઈ ઠાકોર, રમેશભાઈ ઠાકોર, ભરતભાઈ એસ. ડાભી (રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય), રાજકોટ જીલ્લા સમાજના સરપંચશ્રીઓ, જય વેલનાથ મહિલા મંડળો, સમસ્ત કોળી ઠાકરો સમાજની સ્નેહી સંસ્થાઓ, સંતશ્રી વેલનાથ યુવક મંડળો વગેરે ઉપસ્થિત રહેશે.
આયોજનમાં સંતશ્રી વેલનાથ જન્મ જયંતિ સમિતિના પ્રમુખ દેવભાઈ કોરડીયા, મહામંત્રી દિપકભાઈ માનસુરીયા, ખજાનચી પ્રતાપભાઈ રિબડીયા, ઈન્ચાર્જ દેવાંગભાઈ કુકાવા, સુભાષભાઈ અઘોલા વિ.જોડાયા છે.
તસ્વીરમાં ચુંવાળીયા કોળી સમાજના આગેવાનો સર્વશ્રી દિનેશભાઈ મકવાણા, દેવભાઈ કોરડિયા, દિપકભાઈ માનસુરીયા, દેવાંગભભાઈ કુકાવા, લક્ષ્મણભાઈ વાવેશા, ભરતભાઈ મકવાણા, જેશીંગભાઈ રાઠોડ, કલ્પેશભાઈ બાવરવા, સુભાષભાઈ અઘોલા, યોગેશભાઈ રિબડીયા, વિજયભાઈ મેથાણીયા, રાજુભાઈ પંચાસરા, રવિભાઈ રાતોજા નજરે પડે છે.