રાજકોટ
News of Saturday, 29th August 2020

હવે મંગળવારે વિજયભાઇ મ.ન.પા. - રૂડાના વિવિધ એક હજાર કરોડના પ્રોજેકટો ખુલ્લા મૂકશે

મ્યુ. કોર્પોરેશનના ૧-૨-૩ BHKના ૩૦૭૮ ફલેટોનું લોકાર્પણ અને ડ્રો : મવડી સહિતના વિસ્તારમાં નિર્માણ પામનાર આવાસ યોજનાનું ઇ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ગાંધીનગરથી કરશે

રાજકોટ તા. ર૮ : આગામી તા. ૧ને મંગળવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે મ્યુ. કોર્પોરેશનનાં કુલ ૬૪૦૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત સહિત અંદાજે કુલ ૮૦૦ કરોડનાં વિકાસકામો પ્રજાને અર્પણ થશે. મુખ્યમંત્રી ગાંધીનગરથી ડ્રો અને ઇ-લોકાર્પણ કરશે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ વિવિધ વિસ્તારમાં મ્યુ.કોર્પોરેશન દ્વારા ૧, ૨ અને ૩  બી.એચ.કેનાં કુલ ૩૦૭૮ આવાસોનું નિર્માણ થયેલ આવાસોનું લોકાપર્ણ અને આગામી સમયમાં ઇ.ડબલ્યુ.એસ- ૧ અને ૨નાં ૩૩૨૬ આવાસો બનાવવામાં આવનાર છે તેનું ખાતમુહૂર્ત મંગળવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. જે વિગતો આ મુજબ છે.

૩૦૭૮ ફલેટ ખુલ્લા મૂકાશે : લોકાપર્ણ

મ્યુ.કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧ બી.એચ.કેનાં સ્પીડવેલ   પાર્ટી પ્લોટની સામે -૧૪૪, શિલ્પન સ્કાયલાઇફ સામે-૨૧૦ અને ૧૮૮ સહિત કુલ ૫૪૨ આવાસો તથા ૨ બી.એચ.કેનાં રાણી ટાવરની પાછળ -૧૮૦, ૧૫૦ ફુટ રીંગ રોડ, દ્રારિકા હાઇટસની સામે-૧૮૦ , મવડી થી પાળ ગામ તરફ -૮૬૪ સહિત કુલ ૧૨૬૮ તેમજ ૩ બી.એચ.કેનાં હેવલોક એપાર્ટમેન્ટ સામે-૨૬૦ , શિવધામ સોસાયટી સામે, વિમલ નગર મેઇન રોડ- ૨૮૮, ૧૫૦ ફુટ રીંગ રોડ, દ્વારિકા હાઇટસની સામે-૪૪૮ સહિત કુલ ૧૨૬૮ આવાસો બનાવવામાં આવ્યા છે. જેનું લોકાપર્ણ અને ડ્રો થનાર છે.

જયારે ૩ બી.એચ.કેમાં ૧૨૬૮ ફલેટ સામે ૮૦૦ ફોર્મ આવ્યા હતા ત્યારે આગામી સમયમાં  બાકી ફલેટનાં  ફોર્મ બહાર પડશે. તેમ મ્યુ.કોર્પોરેશનનાં સુત્રોએ જણાવ્યુ હતુ.

૩૩ર૪ આવાસોનું ખાત મુહુર્ત

મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧ બીએચકેનાં તપન હાઇટ્સ રોડ, આરએમસી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન નજીક ર૪૮ આવાસો સ્પીડવેલ પાર્ટી પ્લોટથી કણકોટ રોડ તરફ, કોસ્મોસ પ્લસ કોમ્પ્લેક્ષની બાજુમાં (૪૦૦) સહિત કુલ ૧૬૪૮ તથા તપન હાઇટ્સ રોડ, આરએમસી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન નજીક (૬ર૪ આવાસો) સેલેનીયમ હાઇટ્સની સામે, મવડીથી પાળ ગામ રોડ ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી મુકિતધામ સામે, વાવડી-કણકોટ રોડ ૮૦ ફુટ રોડ (૬ર૦) સહિત કુલ ૧૬૭૬ ફલેટ બનાવવામાં આવનાર છે. જેનું ખાતમુહુર્ત હાથ ધરાશે.

અત્રે નોંધનિય છે કે ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવનાર હતુ પરંતુ એકાએક આ કાર્યક્રમ રાતોરાત રદ્દ કરવો પડયો હતો.

હવે તા. ૧ના રોજ કાર્યક્રમ (ઇ-લોકાર્પણ) યોજવાનું નક્કી થયું છે. તેમાં કોઇ ફેરફાર ન થાય તો ટુંક સમયમાં જ સત્તાવાર જાહેરાત થશે.

(2:56 pm IST)