આર્થિક સંકડામણ સામે હારી ગયોઃ બાબરાના વાવડીના યુવાન લાખાએ મોત મેળવી લીધું
રાજકોટ તા. ૨૯: બાબરાના વાવડી ગામમાં રહેતાં લાખા વિરજીભાઇ પરમાર (વાળંદ) (ઉ.વ.૩૦) નામના યુવાને એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. કોરોના કાળમાં શરૂ થયેલા લોકડાઉનને કારણે કામધંધામાં સતત મંદી હોઇ આર્થિક સંકડામણ ઉભી થતાં કંટાળીને આ પગલુ ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. લાખાએ ગઇકાલે સવારે નવેક વાગ્યે ઘરે હતો ત્યારે એસિડ પી લેતાં બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બાબરા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર યુવાન ત્રણ ભાઇમાં નાનો હતો અને વાળંદ કામ કરી ગુજરાન ચલાવતો હતો. લોકડાઉન ખુલ્યા પછી પણ વાળંદ કામનો ધંધો બરાબર જામતો ન હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં લાખો હિમત હારી ગયો હતો અને આ પગલુ ભરી લીધાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. બાબરા પોલીસ વધુ તપાસ કરે છે.