વૃંદાવન ગ્રીનસીટીમાં બિલ્ડીંગના બીજા માળેથી પડી જતા ૮ વર્ષના અભિષેકનું મોત
રાજકોટ તા. ર૯ :.. દોઢસો ફુટ રોડ વાવડીમાં વૃંદાવન ગ્રીનસીટીના નવા બનતા બીલ્ડીંગના બીજા માળેથી પડી જતા આઠ વર્ષના બાળકનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ વાવડી પાસે પુનીતનગરના ટાંકા પાસે આવેલ વૃંદાવન ગ્રીનસીટીના નવા બનતા બીલ્ડીંગની સાઇડ પર રહેતા મંગળસિંહ પરમારનો આઠ વર્ષના પુત્ર અભિષેક પરમાર ગઇકાલે અન્ય બાળકો સાથે બીલ્ડીંગમાં રમતો હતો. ત્યારે બીજા માળે સીડી પરથી પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા તાકીદે સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક અભિષેક બેભાઇ અને બે બહેનમાં મોટો હતો. માતા-પિતા નવા બનતા બીલ્ડીંગમાં કડીયા કામ કરે છે. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. પ્રવિણભાઇ જીલરીયા અને રાઇટર લાલજીભાઇ આડેદરાએ કાર્યવાહી કરી હતી.