રાજકોટ
News of Tuesday, 29th September 2020

રાજકોટ ડેરીના ચેરમેનની પ્રતિષ્ઠાને નુકશાન કરવા અંગે કિસાન સંઘના પ્રમુખને નોટીસ

સમાજમાં બદનક્ષી કરવા અંગે એક કરોડની નોટીસ આપી

રાજકોટ તા. ર૯: સમગ્ર ગુજરાતમાં પ્રતિષ્ઠીત એવી રાજકોટ ડેરીનાં ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના જીલ્લાનાં અગ્રણી ગોવિંદભાઇ રાણપરીયાએ પોતાની તેમજ ડેરીની આબરૂ, પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા બદલ કિશાન સંઘનાં પ્રમુખ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બદલ તેની સામે એક કરોડ રૂપિયાની બદનક્ષી સંબંધે નોટીશ ફટકારતા ચકચાર જાગી ગયેલ છે.

છેલ્લા થોડા વખતથી રાજકોટની અંદર ચાલતી ખુબ જ નામાંકીત ડેરીને આબરૂ અને પ્રતિષ્ઠાને નુકશાન કરવા બદલ અને તેમના ચેરમેનની સમાજમાં આબરૂ અને પ્રતિષ્ઠાને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન કરવા બદલ કીશાન સંઘ દ્વારા વિવિધ મીડીયા અને ઇલેકટ્રોનીક મીડીયા દ્વારા બોગસ અને બેહુદા માનહાની કરી અને હીન પ્રકારનાં કૃત્ય કીશાન સંઘનાં પ્રમુખ તથા અન્યો દ્વારા જાહેરમાં કરવામાં આવેલ હોય ડેરીનાં ચેરમેને તેમની સામે કરવામાં આવેલ આક્ષેપો સંબંધે નોટીસ ફટકારેલ છે.

કીશાન સંઘનાં પ્રમુખ દ્વારા કરવામાં આવેલા ધૃણા જનક આક્ષેપોથી ચેરમેન તથા ડેરીનું અને ડેરીની પ્રોડકટનું સમાજમાં, કુટુંબમાં, કર્મચારીઓમાં તેમજ સમગ્ર ગુજરાતમાં નાણામાં ન આંકી શકાય તેટલી રકમની આબરૂ અને પ્રતિષ્ઠાને બોગસ અને બેબુનીયાદ આક્ષેપોથી નુકશાન થયેલ છે જે આક્ષેપો ખોટા છે તેમ જાણવા છતાં પ્રસિધ્ધ કરાવી અને ચેરમેન અને ડેરીની બદનક્ષી કરેલ હોય અને બદનામી કરેલ હોય ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા દ્વારા નોટીશ આપવામાં આવેલ હતી.

(3:19 pm IST)