રાજકોટ
News of Tuesday, 29th September 2020

કોરોના એટલે મૃત્યુ-એ ભયમાંથી બહાર આવી તકેદારી અને સાવધાની રાખીએ

'ફૂલછાબ'ના તંત્રીશ્રી કોૈશિકભાઇ મહેતાનો પ્રેરક સંદેશ

રાજકોટ તા. ૨૮ : કોરોના એટલે 'મૃત્યુ' - એ ભયમાંથી બહાર આવી લોકોને જરૂરી તકેદારી અને સાવધાની રાખવાનો પ્રેરક સંદેશ આપતા ફૂલછાબના તંત્રીશ્રી કૌશિકભાઈ મહેતા જણાવે છે કે, કોરોના મહામારીનું સંકટ દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં જોવા મળી રહયું છે. ગુજરાતમાં પણ રોજબરોજ કોરોનાના કેસો આપણને જોવા મળી રહયાં છે. આ બીમારી એવી છે કે, તેની દવા હજુ શોધાઈ નથી અને રસી શોધાવાની પણ બાકી છે. સારી વાત એ છે કે, રસી હવે બહુ જલ્દી આવી જશે તેવા સમાચાર છે, પણ ત્યાં સુધી આપણે સૌએ કોરોના સામે કઈ રીતે લડવું, તે સમજી લેવાની જરૂર છે.

આપણા સૌ આરોગ્યના કર્મચારીઓ, ડોકટર્સ આ બીમારી સામે લડી રહયાં છે, આપણી સારવાર કરી રહયાં છે, ત્યારે આપણી પણ કેટલીક જવાબદારી છે. આ બીમારીથી આપણે ડરવાનું નથી, પણ તકેદારી અને સાવધાની જરૂર રાખવાની છે. આયુષ મંત્રાલયે આપણને કેટલીક સુચનાઓ આપી છે, તેનું અવશ્ય પાલન કરવાનું છે. સાથો-સાથ આયુર્વેદમાં સૂચવ્યા પ્રમાણે હળદરવાળું દૂધ પીવું, રોજ નાસ લેવા તેમજ આદુનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શકિતમાં વધારો થશે અને કોરોનાને હરાવવા આપણે શકિતમાન બની શકીશુ.

આમ છતાં, પણ કોરોના પોઝીટીવ આવે તો પણ ડરવાની જરાય જરૂર નથી. સરખી રીતે - સારી રીતે સારવાર લઈ તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું તો આપણે કોરોનાને અવશ્ય હરાવી શકીશું.

કોરોના એટલે 'મૃત્યુ' એવો ભય આજે વર્તાઇ રહયો છે. એમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. આજે ગુજરાતમાં રીકવરી રેટ ૮૦ ટકા જેટલો છે. દેશમાં પણ આ રેટ સતત વધતો જાય છે. સમગ્ર વિશ્વમાં આપણે સૌથી નીચો મૃત્યુ દર ધરાવીએ છીએ, ત્યારે કોરોનાનો ડર રાખવાની જરૂર નથી. 'હારશે કોરોના, જીતશે રાજકોટ'

(રાજકોટ માહિતી બ્યુરો, ગુજરાત સરકાર તરફથી રીલીઝ અખબારી યાદી)

(3:24 pm IST)